આશ્ચર્યજનક ઘટના ! ભાડાના મકાનમાં રહેતા શ્રમિકને ઇન્કમટેક્સે ફટકારી 314 કરોડની નોટિસ, આવી ભૂલ કરી તો તમે પણ ફસાઈ જશો
એક શ્રમિકની આવક સામાન્ય રીતે કેટલી હોય શકે ? અંદાજો લગાડીએ તો પણ ઇન્કમ ટેક્સના લોકો નોટિસ મોકલે તેટલી તો ન જ હોય શકે. ત્યારે એક ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશમાં સામે આવી છે જેમાં ભાડાના મકાનમાં રહેનારા અને મજૂરી કરનાર અને રોજના માંડ 200-300 રૂપિયા કમાઈને પોતાનું ગુજરાન ચલાવનાર શ્રમિકને ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા 314 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. કરોડોની નોટિસ જોઈને શ્રમિકના પત્નીની તબિયત લથડી ગઈ હતી. તેને તાવ આવી જતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર ઘટના ?
મળતી વિગતો અનુસાર આ ઘટના મહારાષ્ટ્રના બેતુલ જિલ્લાની છે જ્યાં એક મજૂરને કરોડોની નોટિસ ફટકારવામાં આવતા તેના હોંશ ઊડી ગયા હતા. આવકવેરા વિભાગ તરફથી તેને 314 કરોડ 79 લાખ 87 હજાર 883 રૂપિયાની નોટિસ મળી હતી. નાના ભાડાના મકાનમાં રહેતા મજૂર માટે આ નોટિસ કોઈ આઘાતથી ઓછી નથી. નોટિસ જોતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મહારાષ્ટ્ર આવકવેરા વિભાગે બેતુલના મુલતાઈ નગરપાલિકા પાસેથી આંબેડકર વોર્ડના રહેવાસી ચંદ્રશેખર પંડિત રાવ કોહાડની સ્થાવર મિલકત વિશે માહિતી માંગી. તપાસમાં જાણવા મળ્યું કે વિવાદિત જમીન ચંદ્રશેખરના નામે નહીં પરંતુ અમલાના દેવથાણના રહેવાસી રાધેલલાલ કિરાડના પુત્ર મનોહર હરકચંદના નામે નોંધાયેલી હતી. નગરપાલિકાએ આ જવાબ આવકવેરા વિભાગને મોકલ્યો.
200-300 રૂપિયા રોજ કમાઈને પરિવારનું ચલાવે છે ગુજરાન
ચંદ્રશેખરે જણાવ્યું કે તે 200-300 રૂપિયાના દૈનિક વેતનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ચાર વર્ષ પહેલાં, તેમણે નાગપુરની એક બેંકમાં ખાતું ખોલાવ્યું હતું, જેમાં તેઓ થોડી રકમ જમા કરાવતા હતા. બેંક એજન્ટે તેનો મોબાઇલ નંબર લીધો, પરંતુ તે ખાતા સાથે લિંક નહોતો. તેને ખાતાની ગતિવિધિઓની કોઈ જાણકારી નહોતી.
બેંક એજન્ટ રોજ પૈસા જમા કરાવતો
નોટિસ પર શ્રમિક ચંદ્રશેખર કોહાડનું નામ લખેલુ છે. શ્રમિકે બચતના હેતુથી શ્રીનાથ મંગલમ નામની એક બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. જેમાં તે બેંક એજન્ટ દ્વારા રોજ પૈસા જમા કરાવતો હતો. પીડિતે જણાવ્યું હતું કે શ્રીનાથ મંગલમ બેંકમાં ખોલવામાં આવેલા બચત ખાતા સાથે તેનો મોબાઇલ નંબર લિંક ન હતો જેના કારણે ખાતામાં થતી લેવડદેવડ અંગે તેને કોઇ મેસેજ આવતો ન હતો.
શ્રમિકના જણાવ્યા અનુસાર બેંક એજન્ટ તેની પાસબુક પણ તેની પાસે રાખતો હતો અને દરરોજ પૈસા લીધા પછી ડાયરીમાં સહી કરાવતો હતો.
નોટિસ અનુસાર, આ ટેક્સ લગભગ 3 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો પર આધારિત હોઈ શકે છે. આ સમાચારને કારણે ચંદ્રશેખરની તબિયત બગડી ગઈ અને તેમની નાગપુરમાં સારવાર ચાલી રહી છે. મ્યુનિસિપલ કર્મચારીઓએ એક અઠવાડિયા સુધી ચંદ્રશેખરની શોધ કરી, પરંતુ તેમની મિલકતનો કોઈ રેકોર્ડ મળ્યો નહીં.
મારું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું : ચંદ્રશેખર પંડિત રાવ
દરમિયાન, ચંદ્રશેખર પંડિત રાવ કોહાડે કહ્યું, “નોટિસ મળ્યા પછી મારું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારી પાસેથી આટલી મોટી રકમનો ટેક્સ માંગવામાં આવશે. આ કારણે, હું હેરાનગતિનો સામનો કરી રહ્યો છું. મારી પત્નીની તબિયત બગડી ગઈ છે અને ઘરમાં તણાવ છે. હું હૃદયરોગનો દર્દી છું, મારી હાલત પણ વધુ ખરાબ થઈ ગઈ છે.”
બીજી તરફ, ચંદ્રશેખર હવે મહારાષ્ટ્ર આવકવેરા વિભાગનો સંપર્ક કરવાનો અને તેમના નામે આટલો મોટો કર કેવી રીતે મળ્યો તે જાણવા માટે કાનૂની સલાહ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મામલો હજુ પણ તપાસનો વિષય છે.