બાળ મજૂરી અટકાવો, માનવ અધિકાર આયોગનો આદેશ
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર બાલકૃષ્ણ ગોયલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
રાજકોટ : રાજકોટ શહેરમાં ચાની હોટલથી લઈ રેસ્ટોરન્ટ અને કારખાનાઓમાં બાળમજૂરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફુલ્યું ફળ્યું છે ત્યારે રાજકોટ આવેલા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર બાલકૃષ્ણ ગોયલે એક પણ માનવ અધિકારનું હનન સાંખી ન લેવા તાકીદ કરી બાળમજૂરી અને ઘરકામમાં બાળકો પાસેથી કામ લેવાતું હોય તેવા કિસ્સામાં ઝુંબેશરૂપે કામગીરી કરવા આદેશ કર્યો હતો.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર બાલકૃષ્ણ ગોયલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં બાલકૃષ્ણ ગોયલે જણાવ્યું હતું કે,ગર્ભસ્થ શિશુથી લઈ વૃદ્ધ સુધી તમામના માનવ અધિકારોનું રક્ષણ કરતું રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દેશનું સર્વોચ્ચ તેમજ વિશ્વનું સૌથી મોટું માનવ અધિકાર સંગઠન છે. તેમણે આયોગની કામગીરી, કાર્યપ્રણાલી તેમજ વ્યવસ્થા વિશે વિગતે જણાવી કહ્યું હતું કે, વર્તમાનમાં આયોગનું ફરિયાદ નિકાલનું પ્રમાણ ૯૨% છે. આયોગ ભારતીય બંધારણની કલમ-૨૧ હેઠળ જીવન જીવવાના અધિકારને સમગ્ર ભારતમાં જાળવી રાખવા તેમજ તેના હનન સંબંધિત કોઈ પણ બાબતને હળવાશથી ન લેવા બાબતે સઘન કાર્યવાહી કરે છે.
બાલકૃષ્ણ ગોયલે બાળ કલ્યાણ ગૃહમાં રહેતા બાળકોના આધાર સીડિંગ અને મેડિકલ ચેક અપ નિયમિત કરાવવા પર ભાર મૂક્યો હતો.સાથે જ બાળમજૂરી અને ઘરકામ કરતાં બાળકો માટે ખાસ ઝુંબેશ ચલાવી ચાઈલ્ડ ટ્રાફિકિંગ થયેલ બાળકને ઓળખી તેનું પુનઃસ્થાપન કરવા પણ તેમણે જણાવ્યું હતું. તેમને ઉમેર્યું હતું કે, અધિકારીઓને રૂટીન કામગીરીથી આગળ વધી નવા વિઝનને અમલમાં મુકી ૧૦૯૮ હેલ્પલાઇન તથા શાળાના બાળકોમાં કાયદાકીય સમજ આપવા ઝુંબેશ હાથ ધરવી જોઇએ. પોલીસ સ્ટેશને વિશેષ સુવિધાઓ સાથે બાળકને અનુકૂળ ઘોડિયા સહિતનો અલાયદો વિસ્તાર બનાવી બાળકો સાથે બનતી દુર્ઘટનાઓ અંગે તેમને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા તાકીદ કરી હતી.
બેઠકમાં કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, અધિક કલેકટર ચેતન ગાંધી, એ.સી.પી મહિલા વિભાગ રાજેશ બારીયા, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ડો.પ્રિતેશ પોપટ તેમજ અન્ય સભ્યો, જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ, જિલ્લા શ્રમ અધિકારી ચંદારાણા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સંતોષ રાઠોડ વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા.