સ્પાઇસજેટ: બિલાડીની જેમ ‘નવ-જીવન’ મેળવતી એરલાઈન્સ કંપની !! જાણો ચડતી-પડતીનો ઇતિહાસ
ભારતની જાણીતી એરલાઈન્સ સ્પાઇસજેટની સફર કોઈ વેબસીરીઝ જેટલી નાટકીય છે, અણધાર્યા વળાંકો, કટોકટીની ક્ષણો અને ફરીથી ઝીરોમાંથી હીરો વાળા ટ્વીસ્ટ આ યાત્રામાં છે. શરૂઆતથી જ આ એરલાઇન્સે નાણાકીય ઉથલપાથલ, કાનૂની લડાઇઓ, માલિકી હક્કોમાં ફેરફાર અને બજારના પડકારોનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં જેમ બિલાડીની નવ જિંદગીઓ હોય એમ આ એરલાઈન્સ પણ ટકી રહી છે.
અત્યારે એ સ્પષ્ટ નથી કે “નવ જીવન” પામી રહેલી સ્પાઈસજેટને કયો ચમત્કારિક મંત્ર મળ્યો છે પણ તેનું તાજેતરનું શેરબજારનું પરફોર્મન્સ બતાવે છે કે આ કંપની રીકવરી કરી રહી છે. પ્રમોટર અજય સિંઘની સ્માર્ટનેસને કારણે સોમવારે સ્પાઈસજેટના શેરમાં વધારો થયો હતો. છેલ્લા વર્ષોમાં નાણાકીય સંઘર્ષો સહિત સંખ્યાબંધ આંચકાઓ લાગ્યા હોવા છતાં અજય સિંઘના વ્યૂહાત્મક પગલાઓએ એરલાઇન્સમાં નવો પ્રાણ ફૂંક્યો છે.
ચડતી-પડતીનો ઇતિહાસ
2005માં તેની શરૂઆત થઈ ત્યારથી સ્પાઈસજેટે ઘણી કટોકટીનો સામનો કર્યો છે, તેજીથી લઈને પતન સુધીના ઘણા તબ્બકાઓ જોયા અને અનેક વખતે કંપનીએ બાઉન્સ બેક કર્યું છે. નસીબ, સમય અને અજય સિંઘના અથાક પ્રયત્નોને કારણે સ્પાઈસજેટનું અસ્તિત્વ ટકી શક્યું છે. એરલાઈન્સે માલિકીમાં બે ફેરફારો કર્યા છે, અસંખ્ય કાનૂની લડાઈઓ લડી છે (જેમાંની ઘણી હજુ વણ ઉકેલાયેલી છે), અને એકથી વધુ વખત નાણાકીય આપત્તિમાંથી બચી ગઈ છે.
તેની શરૂઆતની કટોકટી પૈકીની એક તેની શરૂઆતના થોડા વર્ષો પછી આવી હતી, જ્યારે સ્થાપક અજય સિંહે એરલાઇનને ચાલુ રાખવા માટે સંઘર્ષ કર્યો હતો. મારન પરિવારની આગેવાની હેઠળના સન ગ્રૂપે તેના મીડિયા પ્રભાવ અને રાજકીય જોડાણોનો લાભ ઉઠાવીને નિયંત્રણ મેળવ્યું. જો કે, 2012માં વધતી જતી ક્રૂડની કિંમતોએ એરલાઇનને બીજી નાણાકીય કટોકટીમાં ફસાવી, મારન પરિવારને 2015 સુધીમાં એરલાઇનને સિંઘ પરિવારને પાછી સોંપવાની ફરજ પડી.
લીઓનું બોલ્ડ વિસ્તરણ
નિયંત્રણ મેળવ્યા પછી અજય સિંઘે મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજના શરૂ કરી. તેમણે નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો અને જેટ એરવેઝના એરક્રાફ્ટ મેળવ્યા. જેના કારણે સ્પાઇસજેટ 2019 સુધીમાં લગભગ 10% બજાર હિસ્સા સાથે ભારતની બીજી સૌથી મોટી એરલાઇન બની.
જો કે, બે અણધારી ઘટનાઓએ સ્પાઈસજેટની વધતી જતી મહત્વાકાંક્ષાઓને ઝડપથી નષ્ટ કરી દીધી. સૌપ્રથમ, 2019 માં બોઇંગ 737 ની મેક્સ કટોકટી એ એરલાઇનને સખત અસર કરી, કારણ કે એરક્રાફ્ટ તેના કાફલાની કરોડરજ્જુ હતી. પછી COVID-19 રોગચાળો આવ્યો, જેણે વૈશ્વિક હવાઈ મુસાફરીને જ ડામાડોળ કરી નાખી હતી અને વિશ્વભરની એરલાઈન્સને સર્વાઈવલ મોડમાં ધકેલી દીધી. જ્યારે સ્પાઇસજેટે રોગચાળા દરમિયાન કાર્ગો કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યારે નુકસાન વધ્યું અને કંપનીએ લેણદારો અને નિયમનકારોના વધતા દબાણનો સામનો કરવો પડ્યો.
ઉનાળાનો ખરાબ સમય
એરલાઈન્સની સૌથી તાજેતરની મુશ્કેલીઓ આ ઉનાળામાં શરૂ થઈ, જ્યારે સ્પાઈસજેટની રોકડ અનામત ખતરનાક રીતે ઓછી થઈ ગઈ. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ચેતવણીઓ જારી કરી, દુબઈ જેવા વિદેશી એરપોર્ટ પર નિયંત્રણો લાદ્યા, અને કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) લેણાં ચૂકવવામાં ન આવ્યા. સમસ્યાઓ વધતી ગઈ. જ્યારે સુપ્રીમ કોર્ટે સ્પાઈસજેટના ત્રણ એરક્રાફ્ટને લીઝની ચૂકવણી ન કરવા બદલ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે ઘણા લોકો માનતા હતા કે એરલાઈન તૂટી જવાની આરે છે.
અજય સિંહે કંપની બચાવવા ઘણા પગલા ભર્યા જેના લીધે કંપની બચી ગઈ. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા, એરલાઈને ₹3,000 કરોડ એકત્ર કર્યા, તેના શેરના ભાવમાં વધારો કર્યો. અજય સિંઘે એરલાઇનના ભાવિ વિશે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું, “રોકાણકારો અને સંસ્થાઓનો મજબૂત પ્રતિસાદ એ સ્પાઇસજેટની ઝડપથી વિકાસ કરવાની અને ભારતના ઉભરતા ઉડ્ડયન બજારમાં મજબૂત ખેલાડી બનવાની ક્ષમતામાં તેમના વિશ્વાસનો પુરાવો છે. સ્પાઈસજેટ માટે આ એકત્રિત થયેલું ભંડોળ એક મહત્વપૂર્ણ સિદ્ધિ કહેવાય કારણ કે અમે ઉડ્ડયન ઉદ્યોગમાં નવી ઊંચાઈઓ મેળવવાનું વિચારીએ છીએ.”
અપવાદ સિવાયની મોટા ભાગની અન્ય એરલાઇન્સ બહુ નફો કરી શકતી નથી. એર સહારા, કિંગફિશર એરલાઇન્સ અને જેટ એરવેઝ તેના ઉદાહરણ છે કે તે બંધ થઇ ગઈ. સ્પાઇસજેટે ગાહની વખત માર્કેટને સરપ્રાઈઝ આપી છે. તેની સ્થિતિસ્થાપકતા નોંધપાત્ર છે. આ એરલાઈન્સને તાળું લાગતા લાગતા રહી ગયું છે. હજુ સ્પાઈસ જેટ સામે ઘણા મોટા પડકારો રહેલા છે. તેના ઘણા બધા વિમાનો મહિનાઓથી ગ્રાઉન્ડેડ છે. બાકી રહેલા પગારથી લઈને ઘણા બીલ કંપનીએ ચૂકવવાના છે. જોઈએ કે ઇન્ડીગોની મોનોપોલી સ્પાઈસજેટ તોડી શકે છે કે નહિ?