સોનમ વાંગચુક જેલમાંથી થશે મુક્ત, સરકાર NSA કેસ પણ પાછો લેશે : કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો નિર્ણય
ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. શનિવારે સરકાર દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. ગયા વર્ષે લેહમાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ વાંગચુકને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
સરકારે આ નિર્ણય શા માટે લીધો?
સત્તાવાર નિવેદન મુજબ, સોનમ વાંગચુકે NSA હેઠળ તેમના કુલ નિર્ધારિત અટકાયત સમયગાળાનો લગભગ અડધો સમય પૂર્ણ કરી લીધો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે તે સ્થાનિક લોકોના મુદ્દાઓ અને ચિંતાઓને ઉકેલવા માટે લદ્દાખમાં વિવિધ હિસ્સેદારો અને સમુદાયના નેતાઓ સાથે સતત વાતચીત કરી રહી છે.
લેહ એપેક્સ બોડી દ્વારા આ નિર્ણયનું સ્વાગત
આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, લેહ એપેક્સ બોડીના સહ-અધ્યક્ષ અને લદ્દાખ બૌદ્ધ સંગઠનના પ્રમુખ – ત્સેરિંગ દોરજય લાક્રુકે જણાવ્યું હતું કે, “મારું માનવું છે કે આ લદ્દાખના લોકો માટે સારા સમાચાર છે. આ સોનમ વાંગચુક માટે પણ એક વ્યક્તિગત જીત છે. અમે શરૂઆતથી જ કહ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા હતા – જેને સરકાર સુપ્રીમ કોર્ટમાં પણ સાબિત કરવામાં નિષ્ફળ ગઈ.”
આ નિર્ણયને એક મહત્વપૂર્ણ પગલુ માનવામાં આવી રહ્યું છે
સરકાર ભારપૂર્વક કહે છે કે તેની પ્રાથમિકતા લદ્દાખના વિકાસ અને તેના લોકોની માંગણીઓ પર ચર્ચા કરવાની છે. આ નિર્ણયને લદ્દાખનો સામનો કરી રહેલા મુદ્દાઓ અંગે સંવાદને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું બાકી છે કે તેમની અટકાયત સમાપ્ત થયા પછી લદ્દાખનું રાજકારણ અને ત્યાં ચાલી રહેલ આંદોલન કઈ દિશામાં જશે.
26 સપ્ટેમ્બર, 2025ના રોજ અટકાયતમાં લેવામાં આવ્યા
અહેવાલ મુજબ, લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ તેનો સમાવેશ કરવાની માંગણી સાથે લેહમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. આ ઘટનાઓને પગલે 26 સપ્ટેમ્બર, 2025ના રોજ સોનમ વાંગચુકને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ લેહના જિલ્લા મેજિસ્ટ્રેટે ‘જાહેર વ્યવસ્થા’ જાળવવાનો હવાલો આપીને તેમની સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) લાગુ કર્યો હતો. તેમની અટકાયત બાદ, તેમને લેહથી ખસેડવામાં આવ્યા અને જોધપુર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.
