રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા : જાણો ક્યારે સંભાળશે પદભાર
કેન્દ્ર સરકારે રીઝર્વ બેન્કના નવા ગવર્નર તરીકે મહેસુલ સચિવ અને ૧૯૯૦ની બેચના આઈ.એ.એસ.અધિકારી સંજય મલ્હોત્રાની નિમણુંક કરી છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.પ્રાપ્ત માહિતી અનુસાર, સંજય મલ્હોત્રા તા. ૧૧મીને બુધવારથી નવા હોદ્દાનો ચાર્જ સંભાળશે. તેઓ રાજસ્થાનનાં કેડરના અધિકારી છે. હવે તેઓ શક્તીકાંત દાસના અનુગામી બનશે. જેમનો કાર્યકાળ મંગળવારે પૂરો થઇ રહ્યો છે.સંજય મલ્હોત્રાએ આઈ.આઈ.ટી કાનપુરમાંથી કોમ્પ્યુટર સાયંસ એન્જીનીયરીંગ કરેલું છે અને પબ્લિક પોલીસીમાં માસ્ટર્સની ડીગ્રી અમેરિકામાંથી મેળવી છે. ૩૩ વર્ષની કેરિયરમાં તેઓએ ઉર્જા, નાણા, કરમાળખા, આઈ.ટી,અને માઈન જેવા વિભાગોમાં કામ કર્યું છે.
RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ આવતીકાલે સમાપ્ત થઈ રહ્યો છે. અગાઉ શક્તિકાંત દાસનો કાર્યકાળ લંબાવવાના અહેવાલો મળ્યા હતા. પરંતુ કેબિનેટની કમિટીમાં સંપૂર્ણ બહુમતિ સાથે સંજય મલ્હોત્રાને આ પદભાર સોંપવા નિર્ણય લેવામાં આવ્યો છે. RBIના નવા ગવર્નર તરીકે, મલ્હોત્રાએ ફુગાવાને નિયંત્રિત કરવા અને સ્થિર આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરતાં બેવડા પડકારનો સામનો કરવો પડશે. આગામી ત્રણ વર્ષીય કાર્યકાળમાં રાજકોષિય નીતિ નિર્માણ, કર વહીવટ અને નાણાકીય સેવાઓમાં તેમનો અનુભવ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની નાણાકીય નીતિઓને આકાર આપે તેવી અપેક્ષા છે.
નાણા મંત્રાલયમાં રેવેન્યુ સેક્રેટરી તરીકે હાલ ફરજ બજાવતા સંજય મલ્હોત્રા પાસે નાણાં, ટેક્સ, પાવર, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને માઈનિંગ ક્ષેત્રોમાં બહોળો 33 વર્ષનો અનુભવ છે. આઈઆઈટી કાનપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ મલ્હોત્રાએ અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી. તેઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિવિધ ક્ષેત્રોમાં પોલિસી ઘડવા સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.