‘રેવડી’થી લોકો આળસુ થઇ જાય છે
સુપ્રીમ કોર્ટે કહ્યું, રેવડીઓ લોકોને પંગુ બનાવી રહી છે, લોકો કામ કરવા તૈયાર નથી,
મફતમાં અનાજ, રૂપિયા મળી જાય છે: કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચનો જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા રાજકીય પક્ષો દ્વારા જાહેર કરાતી મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટનું માંનવું છે કે, મફતની રેવડી આપવાના કારણે લોકો કામ કરવા તૈયાર નથી. બુધવારે શહેરી વિસ્તારોમાં બેઘર થયેલા લોકો સંબંધિત કેસની સુનાવણી દરમિયાન અદાલતે આ આકરી ટિપ્પણી કરી હતી. આ મામલાની સુનાવણી ૬ અઠવાડિયા માટે મુલતવી રખાઇ છે.
જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે શહેરી વિસ્તારોમાં બેઘર લોકો માટે ઘરના અધિકાર સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. તે દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે, ‘ આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી. તેમને મફત રાશન મળી રહ્યું છે અને કોઈ કામ કર્યા વિના પૈસા પણ મળી રહ્યા છે.’

ખંડપીઠે વધુમાં કહ્યું હતું કે, ‘અમે તેમના પ્રત્યેની તમારી ચિતાને સમજીએ છીએ, પરંતુ શું એ વધુ સારું નહીં રહે કે તેઓ પણ સમાજની મુખ્યધારામાં જોડાય અને તેમને પણ દેશના વિકાસમાં યોગદાન આપવાની તક મળે?’ એટર્ની જનરલ આર. વેંકટરમણે બેન્ચને જણાવ્યું હતું કે, ‘કેન્દ્ર સરકાર શહેરી ગરીબી નાબૂદી મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. જેના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બેઘર થયેલા લોકોને આશ્રય આપવાની વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દાઓનું સમાધાન કરવામાં આવશે.’ ખંડપીઠે એટર્ની જનરલને કેન્દ્ર સરકાર પાસે શહેરી ગરીબી નાબૂદી મિશનને લાગુ કરવામાં કેટલો સમય લાગશે તેનો જવાબ માંગવાનો નિર્દેશ આપ્યો છે.
પહેલા પણ સુપ્રીમે નોટિસ આપેલી
આ પહેલા પણ પાછલા વર્ષે ઓક્ટોબરમાં સર્વોચ્ચ અદાલતે એક મામલામાં રેવડી કલ્ચરને લઈને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ આપી હતી અને જવાબ માંગ્યો હતો. એ અરજી ચુંટણી દરમિયાન રેવડીઓના એલાનની વિરુધ્ધમાં હતી.