રિઝર્વ બેંકે ક્રેડિટ પોલિસી જાહેર કરી રેપો રેટ 6.5% એ યથાવત
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ મોંઘવારીના દિવસોમાં લોનધારકોને ફરી રાહત આપી છે અને ઈએમઆઈ માં કોઈ વધારો થશે નહીં કારણ કે ચાવીરૂપ દરો યથાવત રાખવામાં આવ્યા છે. RBIની ત્રણ દિવસની બેઠક 8 ઓગસ્ટથી શરૂ થઈ હતી જે આજે પુરી થઈ હતી.
નાણાકીય વર્ષ 2023-24ની આ ત્રીજી નીતિ સમિતિની બેઠક હતી. આ સાથે જ રિઝર્વ બેન્કે આજે પોતાની ક્રેડિટ પોલિસીની જાહેરાત કરતાં રેપો રેટ 6.5 ટકાએ યથાવત રાખ્યો છે. ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી આ કમિટી દ્વારા સર્વાનુમતે રેપો રેટને યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
રિઝર્વ બેંકે આ વર્ષે ફેબ્રુઆરી 2023થી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે તેને 6.5 ટકા યથાવત રાખ્યો છે. બેઠકમાં આ વખતે પણ પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ એપ્રિલ અને જૂનમાં યોજાયેલી બેઠકમાં પણ તેમનામાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. ફુગાવાને નિયંત્રિત કરવા માટે ગયા વર્ષે મે 2022થી 9 મહિનામાં એક પછી એક રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો અને પોલિસી રેટ 4 ટકાથી વધીને 6.5 ટકા થયો હતો. જો કે ફેબ્રુઆરી 2023થી તેને સ્થિર છે.