ચીને નવા વાઇરસ વિશે શું ખુલાસો કર્યો વાંચો
ચીનમાં શ્વસન સંબંધી બીમારી તેમજ બાળકોમાં વધેલા ન્યુમોનિયાના કેસને કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા ની લાગણી પ્રસરી હતી. કોરોના બાદ ચીન વધુ એક વખત કોઈ અજાણ્યા ઘાતક વાયરસની ચપેટમાં તો નથી આવ્યું ને તેવી વ્યક્ત થઈ રહેલી શંકા વચ્ચે ચીને આ બીમારીઓ માટે કોઈ અજાણ્યો વાયરસ જવાબદાર હોવાની અફવાનું ખંડન કર્યું હતું.
ચીનમાં છેલ્લા પખવાડિયા દરમિયાન શ્વાસોશ્વાસની બીમારી તથા બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં અસાધારણ ઉછાળો આવતા હોસ્પિટલો દર્દીઓથી ભરચક થઈ ગઈ હતી. આ સંદર્ભે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીન પાસે માંગેલા ખુલાસા ના જવાબમાં ચીનના આરોગ્ય મંત્રાલયે આ બીમારીઓને સામાન્ય અને પરંપરાગત ગણાવી હતી. આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ દર્દીઓની સંખ્યામાં થયેલા વધારા માટે કોવિડ પ્રતિબંધોમાંથી આપેલી મુક્તિને કારણભૂત ગણાવી હતી. તેમણે બાળકોમાં ન્યુમોનિયાના કેસ માટે માઈકોપ્લાઝમા ન્યુમોનિયા જેવા જાણીતા જંતુ કારણભૂત હોવાનો ખુલાસો કર્યો હતો અને મે મહિનાથી જ તેની અસર શરૂ થઈ હોવાનું જણાવ્યું હતું.ઈન્ફલ્યુએન્ઝા, રેસ્પિરેટરી સિન્સીટીયલ વાયરસ (RSV) અને એડેનોવાઈરસ પણ ઓક્ટોબરથી સર્ક્યુલેશનમાં હોવાનો ખુલાસો કરી તેમણે કોઈ અજાણ્યો વાયરસ મળ્યો ન હોવાની જાહેરાત કરી હતી.