રાજકોટ : સ્પીડબ્રેકર પર પટ્ટા લગાવવાના નામે ૧.૦૭ કરોડનો ‘ચૂનો’ ચોપડવાની ‘કારીગરી’ નિષ્ફળ
મહાપાલિકાના અધિકારીઓને રાજકોટમાં કેટલા સ્પીડબ્રેકર છે તેની જ ખબર નથી !
ત્રણેય ઝોનના મુખ્ય રસ્તાઓ પર થર્મો પ્લાસ્ટથી રોડ માર્કિંગ કરવાના કામનું રિ-ટેન્ડર કરવા નિર્ણય લેતી સ્ટેન્ડિંગ કમિટી
ભૂતકાળમાં મહાપાલિકા દ્વારા આંખ બંધ કરીને દરખાસ્તો ઉપર નિર્ણયો લઈને તંત્રની તીજોરીને મસમોટું નુકસાન કરાયાના અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે. જો કે હવે આ સિલસિલા પર બ્રેક લાગી છે અને `દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે’ની કહેવત માફક પદાધિકારીઓ નિર્ણય લઈ રહ્યા છે. આવી જ એક દરખાસ્ત શહેરના રાજમાર્ગો ઉપર સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા લગાવવાની આવી હતી. આ દરખાસ્ત ૧.૦૭ કરોડ રૂપિયાની હતી પરંતુ આટલો ખર્ચ કર્યા બાદ પણ કામ સફળ થાય તેવું ન લાગતાં આખરે તેમાં રિ-ટેન્ડર કરવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાયો હતો.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે ત્રણેય ઝોનમાં કેટલા સ્પીડ બ્રેકર આવેલા છે તેની વિગત અધિકારીઓ પાસે ત્રણથી ચાર વખત માંગી પરંતુ તેમના પાસેથી કોઈ જ પ્રકારનો જવાબ મળ્યો ન્હોતો. ખાસ કરીને કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગરોડ સહિતના માર્ગો ઉપર ક્યાંય પણ સ્પીડ બ્રેકર પણ આવેલા નથી અને શેરી-ગલીઓમાં સ્પીડબ્રેકરના ઢગલા જોવા મળી રહ્યા છે. વળી, સ્પીડબ્રેકર ઉપર એક વખત સફેદ કલરનો પટ્ટો લાગી જાય પછી તે પટ્ટો યથાવત છે કે નહીં તે જોવાવાળું પણ કોઈ હોતું નથી !
એટલા માટે હવે આ કામ માટે ઝોનવાઈઝ ટેન્ડર તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે જે એજન્સીને કામ અપાશે તે એજન્સી દ્વારા સ્પીડબ્રેકર પર પટ્ટા લગાવાયા બાદ જો પટ્ટો ભૂંસાય જાય તો બે વર્ષ સુધી તેણે પોતાના ખર્ચે જ આ કામ કરવાનું રહેશે તેવી શરત નવા ટેન્ડરમાં ઉમેરવામાં આવશે. આ દરખાસ્ત દોઢ વર્ષ પહેલાંના ભાવે કરવામાં આવી હતી જે પ્રમાણે અમદાવાદની વિનાયક કોર્પોરેશન દ્વારા ૨૭% ઓછા ભાવે કરવાની તૈયારી દર્શાવી હતી પરંતુ સચોટ કામ થાય તે માટે કમિટી દ્વારા રિ-ટેન્ડર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.