રાજકોટ સિટીબસ કાંડ: વિશ્વમ એજન્સીએ ‘બારોબાર’ બીજી કંપનીને કોન્ટ્રાકટ આપ્યાનો તપાસમાં ધડાકો
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસ હડફેટે ચાર લોકો કચડાઈ ગયાની દૂર્ઘટનામાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ જવાબદારને છોડવામાં આવશે નહીં તેવા મસમોટા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ જેમ જેમ દિવસો પસાર થતાં ગયા તેમ તેમ બધું ઢીલઢફ પડવા લાગ્યું અને અત્યાર સુધીમાં સિટી બસના ડ્રાઈવર સિવાય એક પણ વ્યક્તિની જવાબદારી ફિક્સ કરવામાં આવી નથી. બીજી બાજુ અત્યાર સુધી થયેલી તપાસ બાદ એક વાત સ્પષ્ટ થઈ જવા પામી છે કે બસકાંડમાં મહાપાલિકાના એક પણ અધિકારીને ઉની આંચ આવવાની નથી અને જે પણ કાર્યવાહી થશે તે એજન્સીઓના જવાબદારો સામે કરવામાં આવશે.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે મહાપાલિકાએ જે પેટર્નથી સિટી બસ સંચાલનનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે તેને જોતાં તંત્રના એક પણ અધિકારીની જવાબદારી બની રહી નથી. મહાપાલિકા દ્વારા બસના સંચાલન માટે આરઆરએલ મતલબ કે રાજકોટ રાજપથ લિમિટેડની સ્થાપના કરી હતી. આ પછી આરઆરએલ મારફતે દિલ્હી સ્થિત પીએમઆઈ એજન્સી સાથે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર એવો હતો કે પીએમઆઈ એજન્સી બસનું સુચારું સંચાલન થાય તે માટે સ્થાનિક એજન્સીને પેટા પેટા કોન્ટ્રાક્ટ આપી શકશે. આ શરત પ્રમાણે પીએમઆઈ એજન્સી દ્વારા રાજકોટની વિશ્વમ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
જો કે પીએમઆઈ એજન્સી વિશ્વમ એજન્સીને કોન્ટ્રાક્ટ આપે ત્યારબાદ વિશ્વમ એજન્સી તેના નીચે બીજી કોઈ એજન્સીને કોન્ટ્રાક્ટ આપી શકશે નહીં તેવી કરારમાં સ્પષ્ટ શરત હોવા છતાં વિશ્વમ એજન્સીને બારોબાર એમ્ફેટિક નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ રીતે વિશ્વમ એજન્સી દ્વારા કરારભંગ કરવામાં આવ્યો જ છે સાથે સાથે મહાપાલિકાના અધિકારીઓ દ્વારા એક પણ વખત કરાર પ્રમાણે બધું થઈ રહ્યું છે કે નહીં તે જોવાની તસ્દી લીધી નથી આમ છતાં કોન્ટ્રાક્ટની શરત પ્રમાણે મહાપાલિકાની કોઈ જવાબદારી ફિક્સ ન થઈ રહ્યાના તારણ સુધી પોલીસ પહોંચી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બધાની વચ્ચે ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે વિશ્વમ એજન્સીના ડિરેક્ટર દીપેશ દ્વિવેદીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. નિવેદનમાં દ્વિવેદીએ એમ જણાવ્યું હતું કે તેની પાસે તમામ પ્રકારની ઓથોરિટી છે પરંતુ ઓથોરિટી હોવાના લેખિત પૂરાવા ન હોવાને કારણે તેનું નિવેદન નોંધ્યા બાદ હવે આજે વિશ્વમ એજન્સી અને તપાસમાં નવી નીકળેલી એમ્ફેટિક એજન્સીના જવાબદારોને તેડું મોકલવામાં આવ્યા બાદ હવે આ બે એજન્સી સાણસામાં આવી જવાની પૂરેપૂરી શક્યતા છે.
મહાપાલિકા-PMI વચ્ચે થયેલો કરાર ૭૦૦ પાનાનો
સૂત્રો પાસેથી એવી વિગત પણ જાણવા મળેલી છે કે સિટી બસનું સંચાલન દિલ્હી સ્થિત પીએમઆઈ એજન્સીને સોંપવાનો મહાપાલિકા હસ્તકના આરઆરએલ હસ્તક જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો તે ૭૦૦થી વધુ પાનાનો હતો. પોલીસ દ્વારા આ આખો કરાર વાંચવામાં આવ્યા બાદ તેમાં મહાપાલિકાની જવાબદારી ફિક્સ થઈ રહ્યાનું ધ્યાન પર આવ્યું નથી. જો કે પેટા કોન્ટ્રાક્ટને લઈને વિશ્વમ એજન્સી દ્વારા નિયમભંગ કરવામાં આવ્યાનું ફલિત થયું છે ત્યારે હવે તેના સામે કાર્યવાહી કરવામાં આવશે.
PMI-વિશ્વમ-એમ્ફેટિકને આમને-સામને બેસાડાય તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે
જે પ્રમાણે પોલીસ દ્વારા બસ અકસ્માતકાંડની તપાસ કરવામાં આવી રહી છે તે પણ થોડી ઢીલી હોવાનું જાણકારોને લાગી રહ્યું છે. જાણકારોનું સ્પષ્ટ કહેવું છે કે શા માટે પોલીસ દ્વારા પીએમઆઈ, વિશ્વમ અને તપાસમાં નવી નીકળી આવેલી એમ્ફેટિક એજન્સીને આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી રહી નથી ? જો આમ થાય તો જ સઘળી હકીકત બહાર આવી શકે અને કોણે નિયમનું કેટલું પાલન કર્યું તેના પરથી પડદો ઉંચકાઈ શકે પરંતુ પોલીસ દ્વારા અત્યારે આ દિશામાં કાર્યવાહી નથી કરાઈ રહી તે પણ સવાલ પૂછી લેનારી વાત છે.
24થી વધુ ડ્રાઈવરોએ નોકરીએ આવવાનું બંધ કર્યું: અધિકારીઓ મિટિંગમાં વ્યસ્ત
એક બાજુ અકસ્માત બાદ સિટી બસ ચલાવતાં ૨૪થી વધુ ડ્રાઈવરે નોકરીએ આવવાનું બંધ કર્યાનું સામે આવ્યું હતું ત્યારે બીજી બાજુ જવાબદાર એજન્સીના અધિકારીઓ કાં તો મિટિંગમાં કાં તો ફોન કરીને બેસી ગયા હતા. એકંદરે ડ્રાઈવરોના રાજીનામા બાદ સિટી બસનું સંચાલન ખોરવાઈ જવાની ભીતિ વચ્ચે અધિકારીઓની આ પ્રકારની કાર્યવાહી રીતસરની બેદરકારીપૂર્વક હોવાનું લાગ્યા વગર રહેતું નથી.