PM મોદીની કેનેડાની યાત્રાનો વિરોધ : ખાલિસ્તાન સમર્થકોએ વડાપ્રધાનને જાન મારી નાખવાની ધમકી આપી
કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી વિરોધ દરમિયાન પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. G7 સમિટમાં પીએમ મોદીને આમંત્રણ મળવાનો વિરોધ ખાલિસ્તાન સમર્થકો કરી રહ્યા હતા, જે દરમિયાન ‘કિલ મોદી’ ના નારા લગાવવામાં આવ્યા હતા. કેનેડિયન પીએમ માર્ક કાર્નીએ 15 થી 17 જૂન દરમિયાન આલ્બર્ટામાં યોજાનારી G7 સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે અને આ બેઠકમાં ભાગ લેવા માટે મોદી જવાના પણ છે. ભારતની ગણતરી વિશ્વના સાત મોટી સત્તા સમક્ષ પાકિસ્તાનને વધુ ઉઘાડુ પાડવાની છે અને આ માટે G7 શ્રેષ્ઠ મંચ છે.

ખાલિસ્તાની આતંકી પન્નૂએ નરેન્દ્ર મોદીની કેનેડાની પ્રસ્તાવિત યાત્રાનો વિરોધ કર્યો છે. ભારત દ્વારા પ્રતિબંધિત સંગઠન SFJના વડા ગુરપતવંત સિંહ પન્નુએ G7 સમિટમાં પીએમ મોદીની મુલાકાત દરમિયાન વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આતંકવાદી પન્નુએ નરેન્દ્ર મોદી કેનેડામાં લેન્ડ કરે ત્યારથી તેમના ટેકઓફ સુધી 48 કલાકનો વિરોધ કાર્યક્રમ જાહેર કર્યો છે. કેનેડા સ્થિત ઉગ્રવાદી જૂથો પ્રદર્શન દરમિયાન ભારતીય નેતાની હત્યા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, પરંતુ ત્યાં હાજર કેનેડિયન અધિકારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.
આ પણ વાંચો : રાજકોટમાં એકલા રહેતા 70 વર્ષીય વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો : લૂંટના ઇરાદે પ્રેમી પંખીડાએ ઢીમ ઢાળી દીધું
નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા સામેના વિરોધને કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) દ્વારા પણ ટેકો મળ્યો છે. NDPએ આ નિર્ણયને શીખ સમુદાય માટે ખૂબ જ ચિંતાજનક ગણાવ્યો છે. NDPનો ખાલિસ્તાનીઓને ટેકો આપવાનો ઇતિહાસ રહ્યો છે. NDP નેતા જગમીત સિંહ, જે ટ્રુડો સરકારનો ભાગ હતા, તેઓ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા હતા.