કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ દ્વારા ફરી હિંસા ફેલાવવાનું પાકિસ્તાની ષડયંત્ર
રવિવારે સાંજે જમ્મુ કાશ્મીરના ગંદરબાલ જિલ્લામાં એક કન્સ્ટ્રક્શન સાઇટમાં કામ કરતા છ પરપ્રાંતીય શ્રમિકો અને એક સ્થાનિક ડોક્ટર નો ભોગ લેનાર આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કર એ તૈયબા સાથે સંકળાયેલા આતંકવાદી જૂથ ‘ ધ રેસિસ્ટન્સ ફોર્સ ( ટીઆરએફ )’ એ લીધી હતી.
શ્રીનગર – લેહ નેશનલ હાઈવે વચ્ચે સોનમર્ગ અને ગગનીરને જોડતી ટનલના બાંધકામમાં કામ કરી રહેલા શ્રમિકો અને અન્ય કર્મચારીઓ સોનમર્ગ હેલ્થ રિસોર્ટ નજીકના કેમ્પમાં પરત ફર્યા તે પછી તેમના પર આ આતંકવાદી હુમલો થયો હતો.
બનાવ બાદ એનઆઇએની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખની છે કે ટીઆરએફ દ્વારા છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવાની અનેક ઘટનાઓ બની હતી પણ આ વખતે એ સંગઠને પરપ્રાંતિય મજૂરો ઉપરાંત સ્થાનિક તબિબને પણ નિશાન બનાવ્યા હતા. તપાસનીશ એજન્સીઓ અને સરકાર આ હુમલાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે કારણ કે આ સ્થળ અત્યાર સુધી આતંકવાદી હુમલાઓથી મુક્ત હતું. આતંકવાદીઓ હવે ટારગેટ કિલિંગ દ્વારા નવા વિસ્તારોને નિશાન બનાવી રહ્યા હોવાના નિર્દેશ મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા એક મહિનાથી ટીઆરએફ ના આતંકીઓએ હુમલાના સ્થળને રેકી કરી હતી. પાકિસ્તાન સ્થિત ટીઆરએફનો વડોશેખ સજ્જાદ ગુલ આ હુમલા નો માસ્ટરમાઈન્ડ હોવાનું માનવામાં આવે છે.
કાશ્મીરમાં નિર્વિઘ્ને વિધાનસભાની ચૂંટણીઓ થઈ અને લોકોએ ઉત્સાહભેર એ પ્રક્રિયામાં ભાગ લીધો તે પછી ધૂંધવાયેલા પાકિસ્તાનના દોરી સંચાર હેઠળ ફરી એક વખત આતંકવાદીઓ હુમલાઓ દ્વારા કાશ્મીરમાં અશાંતિ સર્જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પહેલા 18 મી ઓક્ટોબરે પણ સોપિયાન જિલ્લામાં બિહારના મજુર ની હત્યા કરવામાં આવી હતી. અગાઉ એપ્રિલ મહિનામાં પણ આતંકવાદી હુમલામાં એક પરપ્રાંતીય શ્રમિક માર્યો ગયો હતો.