હવે તમે એક બેંક ખાતામાં 4 નોમિની ઉમેરી શકો છો : નવા બેન્કિંગ કાયદામાં ગ્રાહકો માટે થયા આ મોટા ફેરફાર
કેન્દ્રની મોદી સરકાર બેન્કિંગ કાર્યપદ્ધતિમાં વ્યવહારિક સુધારા અને રોકાણકારો તથા બેન્ક ખાતાધારકોના હિતોની રક્ષા માટે આગળ વધી રહી છે અને તેના ભાગરૂપે સંસદમાં બેન્કિંગ કાયદા સુધારા ખરડો-૨૦૨૪ પસાર કરી દેવામાં આવ્યો હતો. બેન્ક ખાતાધારક, ચાલુ-બચત, એફડી અને લોકર એકાઉન્ટ માટે ચાર નોમિની રાખવાની સુવિધા આપતો આ ખરડો રાજ્યસભામાં ધ્વનિમતથી પસાર થઇ ગયો હતો. ર૦૨૪માં આ મહત્ત્વનો ખરડો લોકસભામાં પસાર થયો હતો.
આ સુધારા ખરડાના અનેક ફાયદા છે. હવે બેન્ક ખાતાધારકને અધિકત્તમ ચાર નામિત વ્યક્તિ રાખવાની અનુમતિ આપવામાં આવશે અને આ ખરડાનો સૌથી મોટો ફાયદો બની રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં ખરડાની વિશેષતાઓ વર્ણવી હતી અને કહ્યું હતું કે આ એક અનોખો બેન્કિંગ સુધારા ખરડો છે.
આ સંશોધન લાગૂ થયા બાદ કેન્દ્રીય સહકારી બેંકના ડાયરેક્ટરોને રાજ્ય સહકારી બેંકના બોર્ડમાં સેવા કરવાની અનુમતિ મળશે. એ જ રીતે સહકારી બેંકોના ડાયરેક્ટરોના કાર્યકાળને આઠ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરવાની પણ ખરડામાં મહત્ત્વની જોગવાઇ છે અને આ લાભ હવે બધા ડિરેક્ટરોને મળશે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ ખરડામાં એવી જોગવાઈ પણ છે કે સાત વર્ષ સુધી જેના પર દાવો ન થયો હોય તેવા ડિવિડન્ડ, શેર, વ્યાજ અને મેચ્યોર બોન્ડની રકમ ઇન્વેસ્ટર એજ્યુકેશન ફંડમાં ટ્રાન્ફર થઈ જશે.
આમ આ મહત્ત્વનો બેન્કિંગ સુધારા ખરડો માત્ર દેશની બેન્કિંગ કાર્યપદ્ધતિને જ સુધારતો નથી બલ્કે બેંક ખાતાધારકો અને રોકાણકારોના હિતોની પણ સંપૂર્ણ રક્ષા કરવાની ગેરેન્ટી આપે છે. મોદી સરકાર માટે આ ખરડો ખૂબ જ મહત્ત્વનો હતો અને હવે તે સંસદના બન્ને ગૃહમાં પસાર થઇ ગયો છે.
બેન્ક એકાઉન્ટમાં નોમિની માટે બે પદ્ધતિ
હવે ખાતેદારો પોતાના એકાઉન્ટના નોમિની બે રીતથી પસંદ કરી શકશે. જેમાં એક ટકાવારીના ધોરણે નોમિની પસંદ કરવાની રીત અને બીજી ક્રમિક ધોરણે નોમિની પસંદ કરવાની રીત સામેલ છે. એક સાથે નોમિની પસંદ કરવાની રીતમાં ખાતેદારે પસંદ કરેલા ચાર નોમિનીને પોતાના બેન્ક બેલેન્સનો હિસ્સો ટકાવારીના ધોરણે વહેંચી શકશે. ટકાવારીના આધારે ખાતેદારના મૃત્યુ બાદ નોમિનીને જમા રકમ મળશે. જ્યારે બીજી રીતમાં ચાર નોમિનીના નામ ક્રમાનુસાર લખવાના રહેશે. જેથી ખાતેદારના મૃત્યુ બાદ પ્રથમ નોમિનીને મૃતકનું બેન્ક ખાતું સોંપવામાં આવશે. બીજા નોમિનીને પ્રથમ નોમિનીના મૃત્યુ બાદ બેન્કમાં જમા રકમનો હિસ્સો મળશે.