આસારામને કોઈ રાહત નહી…વાંચો કારણ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે બળાત્કારના દોષી આસારામ બાપુ દ્વારા તબીબી આધાર પર સજાને સ્થગિત કરવાની તેમની અરજીને નકારી કાઢવાના રાજસ્થાન હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી પીટીશન ફગાવી દીધી હતી. તેમની બગડતી તબિયતને જોતા આસારામે હાઈકોર્ટને તેમની સજા સ્થગિત કરવા વિનંતી કરી હતી.
જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે આ કેસની સુનાવણી કરી અને આસારામના વકીલને કહ્યું કે તે જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે. આસારામ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર થયા અને કોર્ટને કહ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે અને તેઓ ઓપન હાર્ટ સર્જરીનું જોખમ લેવા માંગતા નથી. તેમણે વધુમાં કહ્યું કે આસારામ પોલીસ કસ્ટડીમાં સારવાર લેવા માટે તૈયાર છે.
બેન્ચે તેમની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, સર્વોચ્ચ અદાલતે તેમને હાઈકોર્ટનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપી હતી અને મુખ્ય અપીલમાં સુનાવણી ઝડપી કરવા હાઈકોર્ટને પણ નિર્દેશ આપ્યો હતો.
આસારામની 2013માં જોધપુરમાં પોક્સો અને આઈપીસીની અન્ય કલમો હેઠળ સગીર પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેને 2018માં ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ગુજરાતની બે મહિલાઓએ પણ તેમની અને તેમના પુત્ર વિરુદ્ધ બળાત્કારનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. જાન્યુઆરી 2023 માં, ગુજરાત કોર્ટે પણ તેને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.