દેશમાં ચોમાસુ અનરાધાર : યમુનોત્રીના રસ્તે વાદળ ફાટ્યા બાદ તબાહી, બે લોકોના મોત, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ
દેશભરમાં ચોમાસુ બરાબર બેસી ગયુ છે અને અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉતરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લીધે ચારધામ યાત્રા રોકી દેવી પડી હતી. આ કારણોસર હજારો યાત્રાળુઓ હરિદ્વાર, ઋષિકેશ, શ્રીનગર, રુદ્રપ્રયાગ, સોનપ્રયાગ અને વિકાસનગરમાં અટવાઈ ગયા હતા. ત્યારે આજે 24 કલાક બાદ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે .

ઉત્તરકાશીમાં યમુનોત્રી માર્ગ ઉપર વાદળ ફાટવાની ઘટના બની છે. આ કારણોસર, એક નિર્માણાધીન હોટેલમાં કામ કરી રહેલા બે મજુરનાં મોત થયા હતા જયારે સાત મજુર લાપતા છે. 17 મજૂરો એક બાંધકામ સ્થળ પર કામ કરી રહ્યા હતા. અચાનક વાદળ ફાટવાની ઘટનાને કારણે મજૂરો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. અહી સરયુ, અલકનંદા અને સરસ્વતી ખતરાના નિશાનની ઉપર વહી રહી છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં વરસાદ શરુ થઇ ગયો છે અને ચોમાસાએ આખા દેશને કવર કરી લીધો છે. સામાન્ય રીતે ચોમાસુ 8 જુલાઈ આસપાસ સમગ્ર દેશમાં પહોંચતું હોય છે પણ આ વખતે 9દિવસ વહેલુ છે.
આ પણ વાંચો : નાના-મધ્યમ વર્ગના લોકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ મહેસૂલી નિણર્ય : જનતાને થશે લાભ
હવામાન વિભાગે હિમાચલ અને ઉત્તરાખંડમાં રેડ એલર્ટ જારી કરી છે. તે જ સમયે, પંજાબ, હરિયાણા, પશ્ચિમ યુપી માટે ઓરેન્જ એલર્ટ છે. આ સાથે, ઓડિશા અને ઝારખંડ માટે પણ રેડ એલર્ટ છે. પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ છે.
સેટેલાઈટ ઈમેજ જોઈએ તો ભારતના મોટાભાગના ભાગોમાં વાદળો દેખાય છે. ઉત્તર પશ્ચિમ ભારત અને તેની નજીકના વિસ્તારો ઓડિશા, ઝારખંડ, હિમાચલ અને ઉત્તરાખંડમાં વધુ વાદળો છે. આ ઉપરાંત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ યુપી અને દિલ્હી એનસીઆરમાં બધે વાદળો છે. ચોમાસુ ટર્ફ ઉત્તરમાં છે કારણ કે આજે આખું ભારત ઢંકાયેલું છે.