રાજકોટના તબીબ દંપતિ પાસેથી પાંચ લાખ પડાવનાર ‘વાંદરી ગેંગ’ પકડાઈ : 4 શખ્સો પોલીસના સકંજામાં, 3ની શોધખોળ
રાજકોટના મોરબી રોડ ઉપર રહેતા તબીબ દંપતિને પાંચ લાખ રૂપિયામાં એક કિલો સોનું આપવાની લાલચ આપી પૈસા પડાવી લેનાર સલાટ વાંદરી ગેંગના ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ ટોળકીએ પાંચ વર્ષની અંદર શહેરમાં પાંચ શિકાર કર્યાની કબૂલાત આપી છે. આ ગેંગમાં મહિલા સહિત સાત લોકો સામેલ છે જેમાંથી ચારને 2.15 લાખની રોકડ સાથે દબોચી લેવાયા હતા. જ્યારે તબીબ દંપતિ પાસેથી મેળવેલી પાંચ લાખની રકમમાંથી અમુક રકમ ફરાર થઈ ગયેલા ત્રણ લોકો પાસે હોય તેમને પકડી પૈસા રિકવર કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.
ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ પોલીસે માધાપર ચોકડી પાસે મોરબી બાયપાસ રોડ પર પુલ નીચેથી રિક્ષામાં શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા ઈશ્વર ઉર્ફે પટીયો વીરાભાઈ વાઘેલા (રહે.અમદાવાદ), અર્જુન પન્નાભાઈ સોલંકી (ઉ.વ.38, રહે.રાજકોટ), મોહન ઉર્ફે મન્યો ભગવાનભાઈ પરમાર (ઉ.વ.25, રહે.રાજકોટ) અને હિરા રામાભાઈ રાઠોડ (ઉ.વ.25, રહે.રાજકોટ)ને પકડી પાડ્યા હતા. જ્યારે તબીબ દંપતિને છેતરીને પાંચ લાખ પડાવી લેવાના ગુનામાં હિરાબેન કસ્તુરભાઈ મારવાડી (રહે.અમદાવાદ), કાનુબેન રામાભાઈ રાઠોડ (રહે.રાજકોટ) અને પન્ની અર્જુનભાઈ સોલંકી (રહે.રાજકોટ) પણ સામેલ હોય તે પોલીસના હાથમાં આવ્યા ન્હોતા.
આ ટોળકીમાં સામેલ અર્જુન અને હિરાબેન તેમજ તેના પુત્ર માનસીંગે મળી ચોટીલામાં ખોટું સોનું ધાબડી અઢી લાખ, દોઢ વર્ષ પહેલાં અર્જુન, હિરા અને માનસિંગે પેડક રોડ પર બાલક હનુમાનજીના મંદિર પાસે ખોટું સોનુ ધાબડી અઢી લાખ, પાંચ વર્ષ પહેલાં અર્જુન, હિરા અને માનસીંગે પારેવડી ચોક, કેસરી પુલ નીચે પોરબંદરથી આવેલા એક શખ્સને ખોટું સોનું પધરાવી 12 લાખ અને આઠ મહિના પહેલાં અર્જુન, હિરા અને માનસીંગે ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે ચાની હોટેલ ધરાવતાં શખ્સને ખોટું સોનું ધાબડી 50 હજાર પડાવી લીધા હોવાની કબૂલાત આપી હતી.
આ ટોળકી હાઈ-વે ઉપર ઝુપડપટ્ટી વિસ્તારમાં રહે છે અને ખોદકામ કરતી વખતે જૂના સિક્કા તેમજ સોનુ મળ્યું હોવાની વાતો કરી લોકોને ભરમાવ્યા બાદ નમૂના સ્વરૂપે સાચું સોનું આપી તેને તપાસ કરવા માટે આપે છે. જેવું સોનું સાચું હોવાનું ખુલે એટલે જે-તે વ્યક્તિ પાસેથી પૈસા લઈ ખોટું સોનું પધરાવી દેવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.