મમતાએ બંગાળમાં તમામ 42 ઉમદેવાર જાહેર કર્યા
અધીર રંજન સામે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યો: મહુઆ મોઈત્રા-કૃષ્ણ નગર, શત્રુ-આસનસોલ, અભિષેક બેનર્જી-ડાયમંડ હાર્બર, કીર્તિ આઝાદ-દુર્ગાપુર: નુસરત જહાંની ટિકિટ કપાઈ
લોકસભાની ચુંટણી માટે બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ પણ પોતાના પત્તા રવિવારે ખોલી નાખ્યા હતા અને કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પરથી તમામ 42 બેઠકો માટે ઉમદેવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી. આ યાદીમાં અનેક આશ્ચર્ય ઉપજાવતા નામો પણ જોવા મળ્યા છે.
બંગાળમાં બહેરામપુર બેઠક પર કોંગ્રેસના ટોચના નેતા અધીર રંજન ચૌધરી સામે મમતાએ નવો દાવ રમીને વડોદરાના જાણીતા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી હતી. એજ રીતે અનેક વિવાદોમાં ફસાયેલા અને અલગ-અલગ કેસનો સામનો કરી રહેલા મૂહુઆ મોઈત્રા કૃષ્ણનગર બેઠક પરથી લડશે.
બેઠક પ્રમાણે જેમના નામ જાહેર થયા હતા તેમાં શત્રુઘ્ન સિન્હા-આસનસોલ, કીર્તિ આઝાદ-દુર્ગાપુર, અભિષેક બેનર્જી-ડાયમંડ હર્બર, રચના બેનર્જી-હુગ્લી, પ્રસૂન બેનર્જી-હાવડા, હાજી નુરૂલ ઇસ્લામ-બશીરહાટ (અહી જાણીતા નેતા નુસરત જહાંની ટિકિટ કાપવામાં આવી છે), સ્ટાપદી રોય-બીરભૂમ, માલા રોય-કોલકત્તા દક્ષિણ, સુદીપ બેનર્જી-કલકત્તા ઉત્તર વગેરેનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ સાથે વાત ન બની, મમતા એકલા મેદાનમાં
રવિવારે કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ટીએમસીના વડા મમતા બેનર્જીએ જંગી રેલીને સંબોધન કર્યું હતું અને એવું એલાન કર્યું હતું કે, લોકસભાની ચુંટણીમાં બંગાળમાં અમે એકલા હાથે ચુંટણી લડશું અને કોંગ્રેસ સાથે કોઈ જોડાણ કરવામાં આવ્યું નથી. મમતાએ રેલીમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અમે બંગાળમાં એનઆરસી લાગુ થવા દેશું નહી. આ વખતે રેલીમાંથી જ તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. બધા ઉમેદવારો પણ રેલીમાં હાજર રહ્યા હતા.