હિમાચલ પ્રદેશની કોંગી સરકારને જીવતદાન
ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે
છ ધારાસભ્યોના ક્રોસ વોટીંગ બાદ વધુ એક મંત્રી નું રાજીનામું: સરકાર સલામત હોવાનો મુખ્યમંત્રીનો દાવો
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. મંગળવારે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને પરાજય મળ્યા બાદ સુખવિંદર સિંઘ સુખુ સરકારના મંત્રી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે પ્રધાન પદેથી રાજીનામું આપતા કોંગ્રેસ નું સંકટ વધુ ઘેરુ બન્યું છે. ભાજપે ગવર્નરને મળી ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ કરવા માગણી કરી હતી. એ પણ નક્કી છે કે ભાજપ સુખવિન્દર સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે અને તો વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા સરકારનું અચૂક પતન થશે એવું ચિત્ર ઉપસી રહ્યું છે.
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીના પરાજય બાદ બુધવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરની આગેવાની હેઠળ ભાજપના ધારાસભ્યો ગવર્નર શિવપ્રસાદ શુક્લને મળ્યા હતા અને સુખવિન્દર સુખુ સરકાર બહુમતી ગુમાવી ચૂકી હોવાનો દાવો કરી ફ્લોર ટેસ્ટ માટે આદેશ કરવાની માગણી કરી હતી. જયરામ ઠાકુરે કહ્યું કે સુખવિંદર સરકારને એક મિનિટ માટે પણ સત્તા ઉપર રહેવાનો નૈતિક અધિકાર નથી. તેમણે બજેટ પસાર કરવા માટે ધ્વનિ મત ને બદલે ડિવિઝન ઓફ વોટ ની માગણી કરી હતી.આ પદ્ધતિમાં ધારાસભ્યોએ ઉભા થઈને અથવા તો હાથ ઊંચો કરીને મત આપવાનો હોય છે. જયરામ ઠાકુરે કહ્યું કે ડિવિઝન ઓફ વોટ પદ્ધતિથી મતદાન કરવાને કારણે કોની પાસે કેટલા ધારાસભ્યો છે તે સ્પષ્ટ થઈ જશે અને કોંગ્રેસ સરકારે બહુમતી ગુમાવી દીધી છે તે પણ નક્કી થઈ જશે.
અધ્યક્ષે ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરતા સમીકરણ બદલ્યા
હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે જયરામ ઠાકુર સહિત ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેતા મામલો ગુચવાયો છે. બજેટ મોશન ઉપરના મતદાન સમયે એ 15 ધારાસભ્યો વિધાનસભામાં ઉપસ્થિત ન હોય તો વિધાનસભાનું સંખ્યાબળ 68 માંથી ઘટી અને 53 નું થઈ જશે. એ સંજોગોમાં બજેટ પાસ કરવા માટે કોંગ્રેસને 27 ધારાસભ્યોના મતની જરૂર રહેશે. મંગળવારે છ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યા બાદ પણ કોંગ્રેસ પાસે 34 ધારાસભ્યો છે. આ સંજોગોમાં નવા સમીકરણો સર્જાયા છે. જો કોંગ્રેસ એ 34 ધારાસભ્યને અકબંધ રાખી શકે તો બજેટ પસાર કરાવી શકશે.
મારી સરકાર પાંચ વર્ષ પૂરા કરશે: સુખવિંદર સિંઘનો દાવો
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંઘ સુખુએ રાજીનામું હોવાની અફવા એ જોર પકડ્યું હતું. બાદમાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં એ આપવાનું ખંડન કરી તેમની સરકાર ઉપર કોઈ સંકટ ન હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકોની ચુંટેલી સરકાર છે, ભાજપ સત્તા અને નાણાંના જોડે ધારાસભ્યો ખરીદી અને સરકાર ગબડાવા માંગે છે પરંતુ તેનો તે ઇરાદો પાર નહીં પડે. જો કે તેમને કેટલા ધારાસભ્યોનું સમર્થન છે તે કહેવાનો તેમણે ઇનકાર કર્યો હતો અને ભાજપના કેટલાક ધારાસભ્યો પણ તેમના સંપર્કમાં હોવાનો દાવો ઠોક્યો હતો.