લે બોલ.. .. યુપી વિધાનસભા કેમ્પસમાં પાણી ઘૂસી ગયા
હવે કોને ફરિયાદ કરવી ? ઓફિસો સુધી પાણી પહોંચી ગયું !
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બુધવારે પણ મૂશળધાર વરસાદ થયો હતો. . વરસાદના કારણે માત્ર રસ્તાઓ પર જ નહીં, પરંતુ વિધાનસભા પરિસરમાં પણ પાણી ઘુસી ગયા હતા. વિધાનસભા પરિસરમાં પાણી ભરાતા મુખ્યમંત્રીને બીજા ગેટથી બહાર કાઢવામાં આવ્યા હતા. વિધાનસભા ગેટ નંબર સાત પર પાણી ભરાઈ ગયા હતા. તેમજ સચિવાલયના રૂમોમાં પણ પાણી પહોંચી ગયું હતું. લખનઉ સીએમ આવાસની સામે પણ પાણી ભરાઈ ગયા હતા.
લખનઉ શહેરના અન્ય ઓફિસમાં વરસાદના પાણી ભરાયા હતા જેમાં લખનઉ નગર નિગમની ઓફિસ પણ સામેલ છે. પાણી ભરાયા બાદ સપાના વરિષ્ઠ નેતા શિવપાલ સિંહ યાદવે યોગી સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમણે X પર પોસ્ટ કરી હતી કે, બજેટની સૌથી વધુ આવશ્યકતા ઉત્તરપ્રદેશ વિધાનસભાને છે, મૂશળધાર વરસાદમાં આ સ્થિતિના કારણે રાજ્ય હવે ભગવાન ભરોસે છે.
વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાતા નિઝામાબાદ આઝમગઢના સપા ધારાસભ્ય આલમ બદીને સ્કૂટરથી ઘરે જવુ પડ્યું હતું. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. લખનઉના નાગરિકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે એલર્ટ કર્યા છે. તેમજ અસુરક્ષિત મકાનો, બિલ્ડિંગ કે વૃક્ષથી દૂર રહેવા સલાહ પણ આપી છે.