રાજ્યમાં આ બે સ્થળે શરુ થશે દીપડા અને રીંછ માટે જંગલ સફારી, જુઓ
- જાંબુઘોડામાં જંગલી ડુક્કર, નીલગાય, દીપડા, સ્લોથ રીંછ અને ઝરખ પણ જોઈ શકાય છે.
- જાંબુઘોડા અને રત્નમહાલમાં ચાલી રહેલી તૈયારી
ગુજરાત વન વિભાગ જાંબુઘોડા અને રત્નમહાલના જંગલમાં જંગલ સફારી શરૂ કરવાનું વિચારી રહ્યો છે. આ સફારીમાં સ્લોથ બીયર અને દીપડા જોવા મળશે.
પંચમહાલના શિવરાજપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) રણવીરસિંહ પવારે કહ્યું, “સફારી ટૂંક સમયમાં જ શરૂ થવાની છે. જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય નજીક દીપડાની સફારી શરૂ થશે જ્યારે રત્નમહાલ અભયારણ્યમાં સ્લોથ રીંછની સફારી શરૂ થવાની છે. પ્રવાસીઓને આ સફારીમાં ચોક્કસથી આનંદ આવશે. ખાસ કરીને વાઈલ્ડલાઈફ પ્રેમીઓને મજા પડી જશે.”
ગીરના જંગલમાં જે પ્રકારે ઓપન જીપમાં બેસીને સિંહ દર્શન કરાવવામાં આવે છે, એ જ રીતે અહીં પણ બંને સફારી કરાવાશે. શિવરાજપુર નજીકની દીપડાની સફારી 16 કિલોમીટરની હશે જ્યારે રત્નમહાલની સફારી 20 કિલોમીટરની રહેશે. “મુલાકાતીઓ ગાઢ જંગલોમાં ફરવાનો આનંદ લેવાની સાથે વિવિધ ઝાડ-પાન અને વિવિધ પ્રકારના પક્ષીઓને નિહાળી શકશે”, તેમ રણવીરસિંહ પવારે ઉમેર્યું.
વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરીના લેટેસ્ટ આંકડા પ્રમાણે, દાહોદમાં 101 સ્લોથ રીંછ રહે છે જેમાંથી મોટાભાગના રત્નમહાલ અભયારણ્યમાં જોવા મળશે. ઉપરાંત 200 દીપડા પણ નિહાળી શકાશે. વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે, 119 દીપડા પંચમહાલમાં છે અને અહીં જ જાંબુઘોડા અભયારણ્ય આવેલું છે.
જાંબુઘોડા અને રત્નમહાલ ગુજરાતમાં ફરવા માટેના પોપ્યુલર સ્થળો પૈકીના એક છે. અહીંના ગાઢ જંગલોમાં કેટલાક કિલોમીટર સુધી ટ્રેકિંગનો પણ આનંદ લઈ શકાય છે. જાંબુઘોડામાં જંગલી ડુક્કર, નીલગાય, દીપડા, સ્લોથ રીંછ અને ઝરખ પણ જોઈ શકાય છે. દાહોદમાં 55 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા રત્નમહાલ અભયારણ્યનું મુખ્ય આકર્ષણ સ્લોથ રીંછ છે. રત્નમહાલમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને વૃક્ષો પણ નિહાળી શકાય છે. વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, સ્લોથ રીંછ ઘણીવાર જાંબુઘોડા અને રત્નમહાલ વચ્ચેના નેચરલ કોરિડોરમાં વિચરતા રહે છે. ઉપરાંત ખોરાકની શોધમાં ક્યારેક નજીકના ગામડાઓમાં પણ પહોંચી જાય છે.