જજને ચુકાદો લખતા નથી આવડતો !!: હાઇકોર્ટે ન્યાયધીશને ત્રણ માસની તાલિમમાં મોકલ્યા
ન્યાયતંત્રમાં બનેલી એક ચર્ચાસ્પદ ઘટનામાં અલ્હાબાદ હાઇકોર્ટે કાનપુરના એક જજને ચુકાદો લખતા પણ આવડતો નથી તેવું કહીને તેને ત્રણ મહિનાની તાલિમમાં મોકલવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, કાનપુરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અમિત વર્મા પાસે ચુકાદો લખવાની ક્ષમતા નથી. ચુકાદો આપતી વખતે તેઓ કારણો અને નિષ્કર્ષનો ઉલ્લેખ પણ કરતા નથી. તેથી, તેને ત્રણ મહિનાની તાલીમ માટે મોકલવા સૂચના આપવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું કે અમિત વર્માનો એક આદેશ પહેલાથી જ રદ કરવામાં આવ્યો છે. તે પછી પણ તેણે આવી ભૂલ વારંવાર કરી છે. જે દર્શાવે છે કે તેમને તાલીમની જરૂર છે. મુન્ની દેવી વિરુદ્ધ શશિકલા પાંડેની અરજીની સુનાવણી કરતી વખતે જસ્ટિસ નીરજ તિવારીએ આ આદેશ આપ્યો હતો.
૨૦૧૩ માં, કાનપુરની એક મહિલા મકાનમાલિક શશિકલા પાંડેએ ભાડાની વસૂલાત અને મકાન ખાલી કરાવવા અંગે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટે 29 ફેબ્રુઆરી 2024 ના રોજ મુન્ની દેવી વિરુદ્ધ આદેશ આપ્યો હતો.
મુન્ની દેવીએ આ નિર્ણય સામે રિવિઝન અરજી દાખલ કરી હતી, જેને 7 નવેમ્બર 24 ના રોજ એડીશનલ ડિસ્ટ્રિક્ટ જજ અમિત વર્મા દ્વારા ફગાવી દેવામાં આવી હતી. આ આદેશને હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પડકારવામાં આવ્યો હતો.
જેમાં કહેવામાં આવ્યું હતું કે આદેશના કારણો અને નિષ્કર્ષ આપવામાં આવ્યા નથી. ન્યાયાધીશે ન્યાયિક વિવેકાધિકારનો ઉપયોગ કર્યો નથી. ૧૭ ડિસેમ્બર, ૨૪ ના રોજ, હાઈકોર્ટે એડીજેનો આદેશ રદ કર્યો અને નવા આદેશની ફાઇલ નીચલી કોર્ટમાં મોકલી દીધી.
દરમિયાન, અરજદારે રિવિઝન અરજીમાં નવા આધારો ઉમેરવા માટે સુધારા અરજી દાખલ કરી. જેને એડીશનલ ડિસ્ટ્રિક્ટ જજ અમિત વર્મા દ્વારા 1 માર્ચ 25 ના રોજ કોઈપણ કારણ આપ્યા વિના રદ કકરી નાખવામાં આવી હતી. આ નિર્ણયને પણ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
મહિલાએ કહ્યું કે એડીજે અમિત વર્માએ અગાઉના આદેશમાં જે ભૂલ કરી હતી, તે જ ભૂલ તેમણે આ આદેશમાં પણ કરી છે. તેથી ઓર્ડર રદ કરવો જોઈએ. જેના પર કોર્ટે કહ્યું કે જજ વર્મામાં ચુકાદો લખવાની ક્ષમતા નથી, તેથી તેમને તાલીમ આપવી જોઈએ.