ગાઝા ઉપર ફરી ઇઝરાયેલનો ભયંકર હુમલો: 330 નિર્દોષ નાગરિકોના મોત
યુદ્ધ વિરામ સમજૂતીનો ઉલાળીયો કરી ઇઝરાયેલે મંગળવારે ગાઝા ઉપર ભયંકર હવાઈ હુમલા કરતાં
મહિલાઓ અને બાળકો સહિત 330 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. જાન્યુઆરી મહિનામાં થયેલી યુદ્ધ વિરામ સમજૂતી બાદ ઇઝરાયેલે કરેલો આ સૌથી મોટો હુમલો હતો. હમાસે બંધકોની મુક્તિનો ઇનકાર કર્યો હોવાને કારણે અને યુદ્ધ વિરામ સમજૂતીની કેટલીક શરતોનું પાલન ન કર્યું હોવાને કારણે આ હુમલો કર્યો હોવાનું ઇઝરાયેલ ના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ એ જણાવ્યું હતું અને હજુ પણ વધારે ઘાતક હુમલા કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 19 જાન્યુઆરી, 2025થી યુદ્ધ વિરામ સમજૂતી અમલમાં આવી હતી. આ સમજૂતી ત્રણ તબક્કામાં વહેંચાયેલી હતી, જેમાં પ્રથમ તબક્કો 42 દિવસ માટે હતો, એટલે કે તે 2 માર્ચ, 2025 સુધી ચાલવાનો હતો. આ તબક્કા દરમિયાન બંધકોની મુક્તિ અને માનવીય સહાયની જોગવાઈનો સમાવેશ થતો હતો. જોકે, બીજા તબક્કામાં સમજૂતી આપોઆપ લંબાવવાની જોગવાઈ હતી પરંતુ તે પહેલા જ બંધક મુક્તિ અંગે સર્જાયેલા મતભેદો બાદ ઇઝરાયેલ ફરી એક વખત ગાઝા ઉપર તૂટી પડ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ઇઝરાયેલે ગાઝા શહેર,ખાન યુનુસ, રફાહ અને ડેરા અલ બલાહ ઉપર થોડી કલાકોમાં જ 35 કરતાં વધારે એરસ્ટ્રાઇક કરી હતી. આ હુમલા બાદ વિવિધ હોસ્પિટલોમાં મહિલાઓ અને બાળકો સહિતના 330 મૃતદેહો આવ્યા હોવાનું પેલેસ્ટાઇન આરોગ્ય મંત્રાલય જાહેર કર્યું હતું. એ ઉપરાંત સેકડો લોકો ઘાયલ થયા હતા જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાને કારણે મૃત્યુ આંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. આ હુમલા કરતા પહેલા તે અંગે અમેરિકાને જાણ કરવામાં આવી હોવાનું ઇઝરાયેલના પ્રવક્તાએ જણાવ્યું હતું.
હમાસે પ્રથમ તબક્કા દરમિયાન 33 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા હતા, જેમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થતો હતો. આ મુક્તિ 19 જાન્યુઆરી, 2025થી શરૂ થઈ હતી અને 6 અઠવાડિયાના સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ હતી. આ ઉપરાંત, 5 થાઇ નાગરિકોને પણ સમજૂતીની બહાર મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, ઇઝરાયેલના જણાવ્યા મુજબ, હજુ પણ 59 બંધકો ગાઝામાં છે, જેમાંથી 24 જીવિત હોવાનું માનવામાં આવે છે અને 35 મૃત હોવાની શંકા છે. બીજા તબક્કામાં વધુ બંધકોની મુક્તિની અપેક્ષા હતી, પરંતુ વાટાઘાટો નિષ્ફળ જતાં તે થઈ શકી નથી.