વડાપ્રધાને કોંગ્રેસ સહિતના પક્ષોની કઈ બાબતમાં ટીકા કરી ? વાંચો
મંગળવારે ઓડિશાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ પૂજા વિવાદ અંગે પહેલીવાર નિવેદન આપ્યું હતું. અહીં તેમણે ભૂવનેશ્વરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન ગણેશ પૂજા વિવાદને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા મેં ગણપતિ પૂજામાં ભાગ લીધો તો, જેના કારણે કોંગ્રેસની ઈકોસિસ્ટમના લોકો પરેશાન અને ભડકેલા છે. સત્તાના ભૂખ્યા લોકોને ગણેશ પૂજાથી પરેશાની થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડના નિવાસસ્થાને ગણપતિ પૂજા સમારોહમાં ભાગ લીધો હતો, ત્યારબાદ તેમના ભાગ લેવા મુદ્દે ઘણી ચર્ચા થઈ અને વિપક્ષોએ તેના પર જોરદાર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું કે, ‘ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરતા અંગ્રેજો ગણેશ ઉત્સવથી ચિઢાતા હતા. આજના સમયમાં પણ જે લોકો ભારતીય સમાજના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ ગણેશ ઉત્સવથી ચિડાય છે. સત્તાના ભૂખ્યાં લોકોને ગણેશ પૂજાથી પરેશાની થઈ રહી છે.’
વડાપ્રધાને ઓડિશાને હજારો કરોડની પરિયોજનાઓની ભેટ આપી હતી અને ખાસ મહત્વ ધરાવતી મહિલાઓને નાણાકીય સહાયતા માટેની સુભદ્રા યોજના લોન્ચ કરી હતી. જેમાં મહિલાઓને દર વર્ષે રૂપિયા 10 હજાર મળશે.