જો આઇટી એક્ટ નહિ બદલાય તો વોટસએપ ભારતમાંથી વિદાય લેશે…વાંચો
વોટસએપના વકીલનું હાઇકોર્ટમાં કથન
2021 ઇન્ફોર્મેશન ટેકનોલોજી રૂલ્સ ફોર સોશિયલ મીડિયા ( ઇન્ટરમેડિયરી ગાઇડલાઈન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક કોડ) ને પડકાર થી અરજીપરની દિલ્હી હાઈકોર્ટમાં ચાલતી સુનાવણી દરમિયાન વોટ્સએપ અને મેટા (ફેસબુક) નાં વકીલે દલીલ કરતાં જણાવ્યું હતું કે શેર કરવામાં આવતા સંદેશાઓ એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ હોવાને કારણે જ લોકો whatsapp નો ઉપયોગ કરે છે. પરંતુ આ કાયદાને કારણે જો ગુપ્તતા જાળવવાનું મુશ્કેલ બનશે તો whatsapp ને ભારતમાંથી વિદાય લેવી પડશે.
ભારત સરકાર દ્વારા 25 ફેબ્રુઆરી 2021 ના રોજ આ કાયદો જાહેર કરવામાં આવ્યો હતો.તેની જોગવાઈ અંતર્ગત કોઈ પણ મેસેજનો મૂળ સ્ત્રોત એટલે કે એ મેસેજ સૌથી પહેલી વખત શેર કરનારની ઓળખ મેળવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
Whatsapp અને મેટાના વકીલ તેજસ કારીયાએ દિલ્હી હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનપ્રીત પ્રીતમ સિંઘ અરોરાની બેંચને જણાવ્યું કે આ જોગવાઈના પાલન માટે અમારે કોઈપણ સંદેશાની આખે આખી ચેન સાચવવી પડશે. એટલે કે લાખો કરોડો સંદેશાઓને વર્ષો સુધી સ્ટોર કરવા પડશે તેમણે કહ્યું કે અમને એનક્રિપ્શન બ્રેક કરવાનું કહેવામાં આવ્યું છે અને જો તેમ થશે તો whatsapp ભારતમાંથી વિદાય લઈ લેશે.
અદાલતે અન્ય કોઈ દેશમાં આવો નિયમ છે કે નહીં તેવો સવાલ કર્યો હતો તેના જવાબમાં whatsapp ના વકીલે કહ્યું કે એક પણ દેશમાં, ત્યાં સુધી કે બ્રાઝિલમાં પણ આવો કાયદો નથી જોકે અદાલતે એવી ટિપ્પણી પણ કરી હતી કે ગુપ્તતાનો અધિકાર સંપૂર્ણ નથી તેમાં ક્યાંક તો સંતુલન સાધવું પડશે.
કેન્દ્ર સરકારના વકીલે આ કાયદાને ઉચિત ઠેરવતાં જણાવ્યું કે જ્યારે સાંપ્રદાયિક હિંસા જેવા બનાવવામાં આ પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રી ફેલાવવામાં આવે ત્યારે આ કાયદો મહત્વપૂર્ણ બની જાય છે. આ કેસની વિશેષ સુનાવણી 14 મી ઓગસ્ટના રોજ થશે.