દેશના અર્થતંત્રની રફતાર કેવી ઝડપી રહેશે ? જુઓ
કોણે શું કરી આગાહી ?
દેશના અર્થતંત્ર વિષે દુનિયાના નિષ્ણાતો અને વિદેશી એજન્સીઓનો ભરોસો વધી રહ્યો છે અને એમના દ્વારા સતત સારી અને મહત્વની આગાહીઓ કરવામાં આવી રહી છે. રેટિંગ એજન્સી ક્રિસિલે ફરીવાર ભારતની જોરદાર પ્રગતિની આગાહી કરી હતી. આગામી નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૮૦ ટકા રહેવાની ધારણાં છે અને દેશ ૨૦૩૧ સુધીમાં અપર મિડલ કલાસ રાષ્ટ્ર બની જશે એમ ક્રિસિલના રિપોર્ટમાં જણાવાયું છે. એટલું જ નહીં ભારતના અર્થતંત્રનું કદ બમણું રહીને સાત ટ્રિલિયન પર પહોંચી જશે. પ્રતિ વ્યક્તિ આવકમાં પણ વધારો થશે.
બીજી બાજુ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે પણ એમ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025 માં દેશનું અર્થતંત્ર 7 ટકાના દરથી વધવાની પૂરી આશા છે. દાસના જણાવ્યા મુજબ અત્યારે પણ અર્થતંત્ર સંતોષજનક દેખાવ કરી રહ્યું છે અને આગળના સમયમાં સારી પ્રગતિ થવાની છે.
અહેવાલમાં એવી માહિતી અપાઈ છે કે ઘરઆંગણે માળખાકીય સુધારાનો અર્થતંત્રને ટેકો મળી રહેશે જેને પરિણામે ૨૦૩૧ સુધીમાં ભારત ત્રીજું મોટું અર્થતંત્ર બનવાની શકયતા છે એમ પોતાના ઈન્ડિયા આઉટલુક રિપોર્ટમાં ક્રિસિલે જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષમાં ૭.૬૦ ટકાના અપેક્ષા કરતા સારા આર્થિક વિકાસ દર બાદ આગામી નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર સાધારણ ધીમો પડી ૬.૮૦ ટકા રહેવાનો અંદાજ છે.
નાણાં વર્ષ ૨૦૨૫થી ૨૦૩૧ સુધીમાં ભારતના અર્થતંત્રનું કદ પાંચ ટ્રિલિયન ડોલરને પાર કરી સાત ટ્રિલિયનની નજીક પહોંચેલું જોવા મળશે તેવી પણ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે.
