બિહારમાં અનુસૂચિત જાતિની વસતિ પર કેવો થયો અત્યાચાર ? શું થયું ? જુઓ
બિહારના નવાદા જિલ્લાની દિદૌર પંચાયતના કૃષ્ણનગર ગામ માટે છેલ્લી રાત એટલે કે બુધવારની રાત ખૂબ જ ભયાનક હતી. મુસહર સમાજના લોકો માટે આ રાત કાળી રાતથી ઓછી નહોતી. સાંજે લગભગ 6 વાગ્યે, લગભગ 150 જેટલા ગુનેગારોએ પહેલા ગોળીબારથી લોકોને આતંકિત કર્યા હતા પછી બોમ્બ વિસ્ફોટ અને કેરોસીન તેલથી આખી વસાહતને આગ ચાંપી દીધી હતી. જમીન પર કબજો કરવા માટે માનવાતાહીન અપરાધલીલા આચરવામાં આવી હતી. અનુસૂચિત જાતિના ઘર બાળવામાં આવતાં રાજકીય યુધ્ધ પણ શરૂ થયું હતું.
આગની જ્વાળાઓએ થોડા જ સમયમાં આખા ગામને લપેટમાં લીધું હતું, જેના કારણે ઘણા ઘરો નાશ પામ્યા હતા અને પશુઓ બળીને ખાખ થઈ ગયા હતા. થોડી જ ક્ષણોમાં લોકોના ઘરો ધરાશાયી થઈ ગયા હતા. જો કે કોઈ જાનહાનિ થઈ નહતી. 80 ઘરોમાં આગ લગાડાઈ હતી અને તે પૈકીનાં 21 ઘર સંપૂર્ણ નષ્ટ થયા હતા. પોલીસે આ બારામાં મુખ્ય આરોપી નંદું પાસવાન સહિત 15 લોકોની ધરપકડ કરી હતી.
શું છે ઘટના પાછળની કહાની?
સ્થાનિક રહેવાસીઓએ મીડિયાને જણાવ્યું હતું કે તેમના પૂર્વજો પેઢીઓથી આ જગ્યાએ રહે છે. આ જમીન તેમને બિહાર સરકારે ફાળવી હતી. હાલના દિવસોમાં પાસવાન સમુદાયના લોકો આ જમીનનો કબજો લેવા માગે છે, જેના કારણે વિવાદની સ્થિતિ સર્જાઈ છે. અગાઉ પણ ઘણી વખત ઝઘડા થયા છે.
આ વિવાદ અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે કોલોનીમાં આગ લાગી તે અનુસૂચિત જાતિ સમુદાયની છે, જે લગભગ 5 એકરમાં ફેલાયેલી છે. અહીં 100 થી વધુ મકાનો છે, જેમાંથી અડધાથી વધુ આગને કારણે નાશ પામ્યા છે. માટીની દીવાલો, જાળા, સ્ટવ સહિતની ઘણી વસ્તુઓ સંપૂર્ણપણે નાશ પામી છે.