વડાપ્રધાન વિરુધ્ધ કેવી અરજી થઈ ? હાઇકોર્ટે શું કહ્યું ? વાંચો
દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અરજી દાખલ કરનાર વ્યક્તિને સખત ફટકાર લગાવી હતી. દિલ્હી હાઈકોર્ટે બુધવારે નરેન્દ્ર મોદીને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે અરજદારને ઠપકો આપતા કહ્યું કે એવું લાગે છે કે અરજદારને માનસિક સ્વાસ્થ્ય તપાસની જરૂર છે. દીપકકુમાર નામના એક નિવૃત પાયલટે આ અરજી કરી હતી.
દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની ખંડપીઠે કહ્યું કે સ્થાનિક પ્રશાસને અરજીકર્તા પર નજર રાખવી જોઈએ. અરજીને ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે અરજદાર દ્વારા કરવામાં આવેલા આરોપો વાહિયાત છે અને તે આભાસ અથવા અન્ય કોઈ માનસિક સમસ્યાથી પીડિત છે અને તેને તબીબી સહાયની જરૂર છે.
કોર્ટે ઠપકો આપ્યો હતો
કોર્ટે વધુમાં સ્થાનિક વહીવટીતંત્રને તેના અધિકારોનો ઉપયોગ કરવા અને જો જરૂર જણાય તો મેન્ટલ હેલ્થકેર એક્ટ હેઠળ તેની સારવાર કરાવવા જણાવ્યું હતું. આ પછી કોર્ટે અરજી ફગાવી દીધી હતી. કેપ્ટન દીપક કુમારે દિલ્હી હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. અરજીકર્તા દીપક વિમાનમાં પાઇલટ તરીકે તૈનાત હતા.
અરજીમાં શું હતી માંગ?
હકીકતમાં, અરજદારે આરોપ લગાવ્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખોટી રીતે શપથ લીધા હતા. આ કારણોસર તેને ગેરલાયક ઠેરવવો જોઈએ. પરંતુ આજે એટલે કે બુધવારે હાઈકોર્ટની એક સભ્યની બેન્ચે આ અરજી ફગાવી દીધી હતી. અરજીમાં તેણે પીએમ મોદી પર રાષ્ટ્રીય સુરક્ષાને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.