ભારે વરસાદ, પૂરથી કયા રાજ્યની કેવી હાલત ? વાંચો
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ દેખાઈ રહી છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાજસ્થાનમાં ભારે વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું અને કેટલાક ભાગોમાં ચારેકોર પાણી ઘૂસી ગયા હતા પરિણામે લોકો ઘરોની છત પર ચડી જવા મજબૂર બન્યા હતા. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં રેડ એલર્ટ અપાયું હતું. એમપી સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી રવિવારે થઈ હતી. મુંબઈ માટે પણ ઓરેન્જ એલર્ટ યથાવત રખાયું હતું. 50 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી પણ કરાઇ હતી.
નેપાળને અડીને આવેલા બિહાર અને યુપીના ઘણા જિલ્લા પૂરની ઝપેટમાં છે. બિહારના બગાહામાં ગંડક નદીના જળસ્તર વધવાના કારણે પૂરની સ્થિતિ છે. રાજ્યની 7 નદીઓ (ઘાઘરા, ગંડક, બાગમતી, કમલા બાલન, કોસી, મહાનંદા અને પરમાન નદીઓ) ખતરાના નિશાનથી ઉપર છે. અહીં છેલ્લા 48 કલાકમાં વીજળી પડવાથી 25 લોકોના મોત થયા છે.
બીજી તરફ યુપીમાં સૌથી ખરાબ સ્થિતિ પીલીભીત, લખીમપુર ખેરી અને શાહજહાંપુરમાં છે. અહીં 20 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. ઈટાવાના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં રવિવારે (14 જુલાઈ) રોડવેઝની બસ અડધી ડૂબી ગઈ. મુસાફરો 2 કલાક સુધી બસમાં ફસાયેલા રહ્યા હતા. બાદમાં બસને બચાવીને બહાર કાઢવામાં આવી હતી.
રાજસ્થાનમાં રવિવારે ભારે વરસાદ તૂટી પડ્યો હતો અને તેને પગલે ચૂરૂ, ટોંક અને નાગોર પંથકમાં જળતાંડવ સર્જાઇ ગયું હતું. સડક અને શેરીઓ તળાવમાં ફેરવાઇ ગયા હતા ને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો છત પર ચડી ગયા હતા. અનેક રસ્તા બંધ થઈ ગયા હતા. રાજલદેસર ગામમાં હોસ્પિટલમાં પાણી ઘૂસી જાતના દર્દીઓ અને તેમના સગાવહાલાં મુસીબતમાં મુકાયા હતા.
એમપીમાં જીવતા માનવીની શબયાત્રા
દરમિયાનમાં મધ્ય પ્રદેશના ઈન્દોર પાસે મહુ ગામમાં ઇન્દ્રદેવને ખુશ કરવા માટે જીવતા માનવીની શબયાત્રા કાઢવામાં આવી હતી. અહીં એવી માન્યતા છે કે આમ કરવાથી ઇન્દ્રદેવ રાજી થાય છે અને ખૂબ વરસાદ પડે છે.