મમતા સરકારની મુશ્કેલી કેવી રીતે વધી ? વાંચો
હાઇ કોર્ટે શું આપ્યો આદેશ ?
પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને મુશ્કેલીમાં મૂકનાર સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. બુધવારે કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓના જાતીય શોષણ અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો. સંદેશખાલીમાં ઇડીના અધિકારીઓ પર થયેલા હુમલાની પણ સીબીઆઇ દ્ધારા તપાસ કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપી શાહજહાં શેખ અત્યારે જેલમાં છે .
બુધવારે પોતાના આદેશમાં કોલકત્તા હાઈકોર્ટે કોર્ટની દેખરેખ હેઠળ સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અને જમીન પચાવી કરવાના આરોપોની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. ગત ગુરુવારે હાઈકોર્ટે સંદેશખાલીની ઘટનાઓને લઈને રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી.
સંદેશખાલીમાં હિંસા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે આ મામલો ખૂબ જ શરમજનક છે. દરેક નાગરિકને સુરક્ષા આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. કોર્ટે કહ્યું હતું કે સંદેશખાલી કેસમાં જિલ્લા વહીવટીતંત્ર અને પશ્ચિમ બંગાળ સરકાર બંનેએ નૈતિક જવાબદારી લેવી જોઈએ.
સંદેશખાલીની સ્થાનિક મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક ટીએમસી નેતાઓએ તેમની જમીન બળજબરીથી કબજે કરી છે. કેટલીક મહિલાઓએ ટીએમસી નેતાઓ પર બળાત્કારના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. આ મુદ્દે બંગાળના રાજકારણમાં હલચલ મચી ગઇ હતી.
સંદેશખાલી કેસમાં મુખ્ય આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખ છે. શાહજહાં શેખ પર ઇડી ટીમ પર હુમલો કરવાનો પણ આરોપ છે. આ ઉપરાંત તેનું નામ બંગાળના રાશન કૌભાંડમાં પણ છે. આ જ કારણ છે કે ભાજપે આ મુદ્દે ટીએમસી સરકારને ઘેરી હતી અને સરકાર પર ગુનાહિત તત્વોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.