બંગાળની સભામાં વડાપ્રધાને કેવી આગાહી કરી ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બંગાળનો પ્રવાસ કરીને સભા સંબોધતાં કહ્યું હતું કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છ મહિનાની અંદર દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થશે. તેમણે કહ્યું કે બંગાળની મમતા બેનરજી સરકાર રાજ્યની ડેમોગ્રાફીમાં બદલાવનો પ્રયાસ કરી રહી છે.
એમણે કહ્યું કે ‘તમારો એક વોટ દેશની રાજકીય દિશા બદલી નાખશે. 4 જૂન પછી આગામી 6 મહિનામાં મોટો રાજકીય ભૂકંપ આવશે. વંશવાદી રાજકારણ પર આધાર રાખતા ઘણા રાજકીય પક્ષો આપમેળે ખતમ થઈ જશે. તેમના કાર્યકરો થાકી ગયા છે. તેઓ પોતે જાણે છે કે દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અને તેમની પાર્ટીઓની સ્થિતિ શું છે. જો કે મોદી ક્યા રાજકીય ભૂકંપની વાત કરી રહ્યા હતા તે અંગે કોઈ ફોડ પાડ્યો નહતો.
મોદીએ દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વિપમાં એક રેલીને સંબોધિત કરતા આ વાત કરી હતી. અહીં તેમણે ત્રણ બેઠકો પરથી ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. આ દરમિયાન ડાયમંડ હાર્બર, મથુરાપુર અને જોયનગરના ભાજપના ઉમેદવારો પણ હાજર હતા.
મોદીએ કહ્યું કે મમતા સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરે છે, સંતો પર હુમલા થાય છે. આ ઉપરાંત કેન્દ્રીય યોજનાઓ પણ બંધ કરવામાં આવી રહી છે. બંગાળમાં ઘૂસણખોરી ઝડપથી વધી રહી છે. આ લોકો ઇચ્છે છે કે ઘૂસણખોરો બંગાળમાં આવીને સ્થાયી થાય.
તેમણે કહ્યું કે, ‘ઘૂસણખોરો બંગાળના યુવાનોના હાથમાંથી તકો છીનવી રહ્યા છે. તેઓ તમારી જમીન અને મિલકતો પર કબજો જમાવી રહ્યા છે. સમગ્ર દેશમાં આ અંગે ચિંતાનો માહોલ છે. સરહદી વિસ્તારોની વસ્તી બદલાઈ રહી છે. આખરે ટીએમસી કેમ સીએએનો વિરોધ કરે છે અને જૂઠ ફેલાવે છે?