રાજકોટમાં 20 મહિલા બુટલેગર સહિત 38 અસામાજિકોના મકાનો તોડી પડાયા : 6.52 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
રાજ્યભરમાં અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકતો, દબાણો પર બુલડોઝર ફેરવી દેવાની સરકારની ચાલી રહેલી કવાયત હેઠળ રાજકોટમાં એક જ વિસ્તારમાં રૈયાધાર નજીક મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. 20 મહિલા બુટલેગર સહિત 38 અસામાજિક તત્વોએ કાચી-પાકી ઓરડી, બાંધકામો કરીને લાંબા સમયથી કરેલા દબાણો આજે પોલીસ અને મહાપાલિકાના સંયુક્ત ઓપરેશનમાં તોડી પડાયા હતા. તંત્રના દાવા મુજબ 6.52 કરોડની 2610 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ છે. ધંધાર્થીઓનો સર્વે કરીને આજે સવારે મહાપાલિકાની ટીમ સાથે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈ તથા પીઆઈ હર્ષ પટેલ સહિતના અધિકારીઓ, પોલીસના મોટા કાફલા સાથે રૈયાધાર વિસ્તારમાં બુલડોઝર લઈને પહોંચ્યા હતા અને ડિમોલિશન હાથ ધરાયું હતું. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે હથિયારધારી ચૂસ્ત બંદોબસ્ત મહિલા પોલીસનો કાફલો પણ સાથે રખાયો હતો.
જેસીબીએ એક પછી એક કરી ધણધણાટી બોલાવી દીધી હતી. રૈયાધાર વિસ્તારમાં રહેતી 20 મહિલા બુટલેગરો કિરણ જગદીશભાઈ પરમાર, રૂપલ (ઋત્વીબેન) મુકેશભાઈ મકવાણા, ચંદા પ્રદીપ મુખર્જી, જયા રાયધન સાડમીયા, ગુલાબ કમશી સાડમીયા, નીમુ રાજુ વઢવાણિયા, વસંત પ્રવિણ વાજેલિયાના મકાન તોડી પડાયા હતા. આ ઉપરાંત કંકુ કેશુ વાજેલિયા, ચંપા મનસુખ વાજેલિયા, જાનુ રમેશ વાજેલિલયા, ઉષા વિશાલ વાઘેલા, નાથી ગોવિંદ ચાણકિયા, ગીતા વિનોદ મકવાણા, ડિમ્પલ સાગર સાડમીયા, મુની અલ્તાફ પરમાર, સાયરા મહેબુબ મુનસી, નયના કેશુ જખાનીયા, કંચન હિતેષ પરમાર, કાજલ મહેશ સાડમીયા મળી 20 મહિલા બુટલેગરોના ઓરડી, મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જ્યારે દારૂ તેમજ મારામારી, ચોરી, ખૂન, લૂંટ, ધાડ કે આવા અન્ય ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા 18 પુરૂષ અસામાજિક તત્વો ખુશાલ હમીરભાઈ મેરીયા, વાલજી ઉર્ફે પાતરીયો, લાલજી સાડમીયા, વનરાજ તથા ભરત, તૌફિક બસીર ખાડુ, રાજેશ બિજલ ભોણીયા, પિયુષ ઉર્ફે પરેશ ડાભી અને તેનો ભાઈ ઋત્વિક, આનંદ ઉર્ફે બાબુ રણછોડ પરમાર, પ્રકાશ ડાયા જાદવ, ભુપત દીપસિંગ ચૌહાણ, રાયસીંગ કેશુ વાજેલિયા, પુત્ર વિક્રમ કેશુ વાજેલયા, પત્ની કંકુ, શહેજાદ ઉર્ફે નવાઝ સુલતાન જલવાણી, રાહુલ રાજુ ચૌહાણ, કૌશલ ઉર્ફે કરણ નીતિન મકવાણા, રાજુ ધીરૂ વઢવાણિયા, મનસુખ જકસી વાજેલિયા, લાલો બીજલ ભોણીયા, હસમુખ બાબુ મકવાણા, ભીખા ભનુ અઘારિયાના કાચા-પાકા મકાન, ઓરડી કે શેડ તોડી પડાયા હતા. તંત્રના દાવા મુજબ 2610 ચોરસ મીટર પર થયેલા દબાણો હટાવીને 6.52 કરોડની જમીન ચોખ્ખી કરાઈ છે.