રેશનકાર્ડ ધારકોને જૂન માસનું અનાજ વિતરણ કરવા મુદત વધારવા અનાજના વિક્રેતાઓએ જિલ્લા કલેક્ટરને કરી રજુઆત
રાજકોટ શહેર -જિલ્લામાં બે માસનું અનાજ એક માસમાં વિતરણ કરવાના સરકારના આદેશ હોવા છતાં સ્થાનિક પુરવઠા વિભાગે તા.31 મે સુધીમાં ઘઉં-ચોખાનો જથ્થો પહોંચતો ન કરી બાદમાં 5 જૂને તમામ સસ્તા અનાજના વિક્રેતાઓનો સ્ટોક બ્લોક કરી નાખતા જિલ્લામાં 50 હજારથી વધુ રેશનકાર્ડ ધારકો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અન્વયે અનાજથી વંચિત રહેતા સોમવારે રાજકોટ શહેર -જિલ્લાના સસ્તા અનાજના વિક્રેતાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રેશનકાર્ડ ધારકોને જૂન માસના અનાજથી વંચિત નહીં રાખવા તેમજ કમિશન અને પૂરક પરમીટ સહિતની બાબતો અંગે રજુઆત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મે માસમાં મેં ઉપરાંત જૂન માસનું અનાજ અને જૂન માસમાં જુલાઈ તેમજ ઓગસ્ટ માસનું અનાજ એક સાથે વિતરણ કરવા આદેશ કર્યો હતો.પરંતુ રાજકોટમાં સરકારના આ આદેશના પાલન કરવાને બદલે પુરવઠા વિભાગે સસ્તા અનાજના દુકાનદારોને છેક 31 મેના રોજ જૂન માસનો જથ્થો પહોંચાડી 5 જૂન સુધીમાં ઘઉં-ચોખા વિતરણ કરી દેવા ફરમાન કરતા મોટાભાગના રેશનકાર્ડ ધારકો જૂન માસના અનાજથી વંચિત રહી ગયા હતા. બીજી તરફ રાજકોટ શહેર, તાલુકા અને જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને જૂન માસનું અનાજ ન માલ્ટા પરવાનેદારો સાથે ઝઘડા થઇ રહ્યા હોય કંટાળેલા સસ્તા અનાજના વેપારીઓએ સોમવારે રાજ્યના પુરવઠા નિયામકને જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર સુપરત કર્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં જામશે ક્રિકેટ ફીવર : નીરંજન શાહ સ્ટેડિયમમાં ઈન્ડિયા ‘એ’ અને આફ્રિકા ‘એ’ વચ્ચે રમાશે ત્રણ વન-ડે મેચ

રાજકોટ શહેર ફેરપ્રાઈઝ શોપ એસોસીએશનના પ્રમુખ માવજી રાખશીયા અને મહામંત્રી હિતુભા જાડેજાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી રજુઆતમાં સસ્તા અનાજના વિક્રેતાઓએ જૂન માસનું અનાજ વિતરણ નહીં થતા રેશનકાર્ડ ધારકો સાથે થતી માથાકૂટ તેમજ પૂરક પરમીટ અને જૂન માસમાં પૂર્ણ વિતરણ ન થતા કમિશન સહિતની બાબતો અંગે રજુઆત કરતા આ ગંભીર બાબતે જિલ્લા કલેકટરે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી નિરાકરણ લાવવા હૈયાધારણા આપી હતી.