લાવો NOC !! આખા રાજકોટ ઉપર તૂટી પડતી ફાયર બ્રિગેડ, નોટિસ ફટકાર્યા બાદ 7 દી’માં સાધનો- NOC નહીં લેવાય તો મિલકત સીલ
રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર બિગબજાર સામે આવેલા એટલાન્ટીસ બિલ્ડિંગમાં ધૂળેટીના દિવસે જ ‘સી’ વિંગના છઠ્ઠા માળે ભયંકર આગ લાગી હતી જેમાં ત્રણ યુવક ભડથું થઈ ગયા હતા. આ બનાવમાં જવાબદારોને શોધવા માટે પોલીસ, મહાપાલિકા સહિતના તંત્ર ‘જહેમત’ ઉઠાવી રહ્યા છે ત્યારે જવાબદારો સામે કાર્યવાહી થાય ત્યારે સાચું પરંતુ તે પહેલાં તંત્ર દોડતું થઈ ગયું છે. સોમવારે સવારથી જ ફાયર બ્રિગેડની અલગ-અલગ ટીમે અઢારેય વોર્ડમાં ચેકિંગ શરૂ કરી ફાયર એનઓસી, ફાયર સેફ્ટીના સાધનો અંગેનું સઘન ચેકિંગ શરૂ કરી ધડાધડ નોટિસ ફટકારવાનું શરૂ કર્યું હતું.
એરપોર્ટ રોડ, રેસકોર્સ,રેલનગર સહિતના વિસ્તારમાં ચેકિંગ

વોર્ડ નં.૧૪માં ઢેબર રોડ, મીલપરા, ગાયત્રીનગર સહિતના વિસ્તારમાં ચેકિંગ કરી ૧૨, વોર્ડ નં.૭માં કોલેજવાડી, જાગનાથ, રામકૃષ્ણ આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાંચેકિંગ કરી ૧૯, વોર્ડ નં.૧૮માં કોઠારિયા ગામમાં ૧૧, વોર્ડ નં.૧૫માં ૮૦ ફૂટ રોડ, અમુલ સર્કલ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયા બાદ ત્યાં રહેણાક બિલ્ડિંગમાં બધું નિયમ પ્રમાણે હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નં.૬માં માંડા ડુંગર સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયા બાદ છ લોકોને નોટિસ ફટકારાઈ હતી તો વોર્ડ નં.૧૦માં વૈશાલીનગર, જૂની એલઆઈસી કચેરીવાળો વિસ્તાર સહિતમાં ચેકિંગ કરી ૧૦ નોટિસ, વોર્ડ નં.રમાં ગીતગુર્જરી સોસાયટી, ગતિગુજરાા રેસકોર્સ, એરપોર્ટ, વોર્ડ નં.૩માં રેલનગર સહિતના વિસ્તારમાં ચેકિંગ કરી એક-એક નોટિસ આપવામાં આવી હતી. આ રીતે અલગ-અલગ વોર્ડમાં મળી કુલ ૬૦થી વધુ નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે પણ આ ઝુંબેશ યથાવત રહેશે
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે દરેક ફાયર સ્ટેશનદીઠ સાત ટીમ બનાવી સવારથી જ ચેકિંગ શરૂ કરાયું હતું જે મોડી સાંજ સુધી ચાલ્યું હતું. આજે પણ આ ઝુંબેશ યથાવત રહેશે. ટીમ દ્વારા દરેક રહેણાક બિલ્ડિંગમાં જઈને ફાયર એનઓસી રિન્યુ કરાવાયું છે કે નહીં, નથી કરાયું તો શા માટે નથી કરાયું, ફાયર સેફ્ટીના સાધનો પૂરતી સંખ્યામાં અને એક્સપાયર્ડ થઈ ગયેલા નથી ને ? તે સહિતની બાબતોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ રીતે કુલ ૧૪૮ મિલકતોનું ચેકિંગ કરાયું હતું અને ૬૦ને નોટિસ અપાઈ છે ત્યારે જો નોટિસ આપ્યા બાદ પણ સાત દિવસની અંદર કાર્યવાહી નહીં કરાય તો બિલ્ડિંગ સીલ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.