અંતે ભોલે બાબાએ જબાન ખોલી : હું તો ઘટના બની તે પહેલા જ નીકળી ગયો હતો
ધક્કામુક્કી પાછળ અસામાજિક તત્વોના હાથની શંકા દર્શાવી
યુપીના હાથરસમાં ધક્કામુક્કીમાં મંગળવારે બનેલી ભયાનક દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાના કલાકો બાદ અંતે ગુમ થઈ ગયેલા ભોલે બાબાએ બુધવારે સાંજે જબાન ખોલી હતી અને કહ્યું હતું કે સત્સંગ સ્થળ પર જે રીતે ભાગાભાગી થઈ હતી તેની પાછળ અસામાજિક તત્વોનો હાથ હોઇ શકે છે.
એમણે પોતાનો બચાવ કરતાં એમ પણ કહ્યું હતું કે સત્સંગમાં ભાગાભાગી થઈ તે પહેલા જ હું ત્યાંથી નીકળી ગયો હતો. મારા નીકળી ગયા બાદ આ દુર્ઘટના બની હતી. એમણે ઘાયલો માટે જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના દર્શાવી હતી.
જો કે બાબા ઘટના બન્યાના ઘણા લાંબા સમય બાદ બોલ્યા હતા. એમને શોધવામાં આવી રહ્યા હતા પણ એમનો ક્યાંય પત્તો મળ્યો નહતો. અંતે બુધવારે સાંજે એમણે ઘટના અંગે ચોખવટ કરતું નિવેદન કર્યું હતું.