મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનુ નામ ફાઇનલ : આજે કે કાલે ધારાસભ્ય દળની બેઠકમાં અંતિમ મ્હોર લાગશે
મહારાષ્ટ્રને ટૂંક સમયમાં નવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે ૨જી અથવા ૩જી ડિસેમ્બરે વિધાયક દળની બેઠક થશે, જેમાં ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.
દેવેન્દ્ર ફડણવીસ અગાઉ 2014 થી 2019 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. બીજી વખત તેમણે ઓક્ટોબર 2019માં સીએમ તરીકે શપથ લીધા હતા. જોકે, બાદમાં તેમણે 3 દિવસ બાદ રાજીનામું આપવું પડ્યું હતું. જે બાદ તેઓ 2022થી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ છે. ફડણવીસ 1999થી દક્ષિણ પશ્ચિમ નાગપુરથી ધારાસભ્ય છે. આ વખતે તેઓ છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા છે. આ પહેલા તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પણ રહી ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં 288 સભ્યોની વિધાનસભાના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મહાયુતિને જંગી બહુમતી મળી છે. મહાયુતિએ 233 બેઠકો મેળવી છે. ભાજપે 132, શિવસેનાને 57 અને એનસીપીને 41 બેઠકો મળી છે. જોકે પરિણામના 10 દિવસ બાદ પણ મુખ્યમંત્રીનું નામ ફાઈનલ થયું નથી. આ અંગે સતત ધમાલ ચાલી રહી છે.
‘ફડણવીસ’નું નામ નક્કી થઈ ગયું’
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ થઈ ગયું છે. બીજેપી વિધાયક દળના નવા નેતાની પસંદગી માટે બેઠક 2 અથવા 3 ડિસેમ્બરે યોજાશે. આ બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકેની મંજૂરીની આખરી મહોર મારવામાં આવશે.
અગાઉ, આઉટગોઇંગ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ નવા મુખ્ય પ્રધાનને પસંદ કરવાના ભાજપના નિર્ણયને સમર્થન આપશે.
એકનાથ શિંદેએ તેમના પુત્ર વિશે શું કહ્યું ?
પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવા અને ગૃહ વિભાગ પર શિવસેનાના દાવા અંગે એકનાથ શિંદેએ કહ્યું કે મહાગઠબંધનના ભાગીદારો ભાજપ, એનસીપી અને શિવસેના સાથે બેસીને સર્વસંમતિથી સરકારની રચના અંગે નિર્ણય કરશે.
5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
તમને જણાવી દઈએ કે મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરની સાંજે યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. આ કાર્યક્રમ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાવાનો છે.