રાહુલ ગાંધીની મુશ્કેલી વધી : સાવરકર માનહાનિ કેસમાં સમન્સના આદેશને રદ કરવાનો કોર્ટનો ઇનકાર
સાવરકર માનહાનિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે લોકસભામા વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામેના સમન્સના આદેશને રદ કરવાનો ઇનકાર કરી દીધો છે.
એક અરજીમાં રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટના આદેશને પણ પડકાર્યો હતો. જેમા જૂન 2023 માં ફરિયાદી નૃપેન્દ્ર પાંડે દ્વારા તેમની ફરિયાદને ફગાવી દેવા સામે દાખલ કરવામાં આવેલી સુધારણા અરજીને મંજૂરી આપી હતી. આ કેસની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ સુભાષ વિદ્યાર્થીની બેન્ચે મૌખિક રીતે ટિપ્પણી કરી કે રાહુલ ગાંધી વિરુદ્ધ કલમ 397 CrPC(કલમ 438 BNSS) હેઠળ સેશન્સ જજ સમક્ષ જવાનો વિકલ્પ છે. આને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની અરજી ફગાવી દીધી.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન અકોલામાં એક રેલીમાં વીર સાવરકરને નિશાન બનાવીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન બાદ દેશભરમાં ઘણી જગ્યાએ તેમની સામે કેસ નોંધાયા હતા. લખનૌમાં વકીલ નૃપેન્દ્ર પાંડેએ પણ આ નિવેદન સામે અરજી દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાહુલે જાણી જોઈને સાવરકરની ટીકા કરી હતી અને તેમનું નિવેદન સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન છે.