દિલ્હીનું મુખ્યમંત્રી આવાસ સીલ; આતિશીનો સામાન બહાર ફેકયો !
રાજકીય યુધ્ધ ફરી શરૂ : રીનોવેશનમાં ગેરરીતિ થયાનો આરોપ છે માટે કાર્યવાહી થયાની પીડબ્લ્યુડીની ચોખવટ
દિલ્હીમાં ફરી રાજકીય હલચલ બુધવારે શરૂ થઈ હતી અને દિલ્હીના મુખ્યમંત્રી આવાસને પીડબ્લ્યુડી દ્વારા સીલ કરી દેવામાં આવતાં ભારે દોડાદોડી થઈ ગઈ હતી અને આપ તથા ભાજપના નેતાઓ વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી.
આ કાર્યવાહી કરવા પાછળનું કારણ એવું અપાયું હતું કે અરવિંદ કેજરીવાલ દ્વારા રીનોવેશનના કામમાં ભ્રષ્ટાચાર કરાયાનો આરોપ લાગેલો છે માટે આ આવાસ સીલ કરવાની જરૂર છે અને તેની તપાસ ચાલી રહી છે.
સૌથી મોટી વાત તો એ બની હતી કે સીએમ આવાસ સીલ કકરવામાં આવ્યું તે પહેલા મુખ્યમંત્રી આતિશીનો સામાન બહાર કઢાવવામાં આવ્યો હતો. આપના નેતા સંજય સિંહે એવો આરોપ મૂક્યો હતો કે સીલ કરીને સીએમ હાઉસના સ્ટાફને પણ હટાવી દેવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ બારામાં એક નિવેદન બહાર આવ્યું હતું જેમાં એમ જણાવાયું હતું કે દેશના ઇતિહાસમાં પહેલીવાર જ આવી ઘટના બની છે કે મુખ્યમંત્રીનો સામાન જ બહાર ફેકી દેવાયો છે.