હરિયાણામાં ભાજપની ત્રીજીવાર સરકાર : સૈનીએ શપથ લીધા
હરિયાણામાં ભાજપની ત્રીજીવાર સરકાર રચાઇ છે. ભાજપના કદાવર નેતા નાયબ સિંહ સૈનીએ ગુરુવારે બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા હતા. આ દરમિયાન 13 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રી બનવા માટે લોબિંગ કરનાર અનિલ વિજને પણ મંત્રી બનાવાયા છે. જનતાએ ભાજપને ત્રીજીવાર સત્તા સોંપી છે.
પંચકુલામાં આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપની ટોચની નેતાગીરી ઉપરાંત ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં દેશભરમાંથી એનડીએના લગભગ દોઢ ડઝન નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.
ભાજપની હેટ્રિક
આ શપથ ગ્રહણ હરિયાણા માટે એક ઐતિહાસિક ઘટના હતી કારણ કે હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 90માંથી 48 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 37 બેઠકો જીતી હતી.
કેબિનેટમાં દરેક જ્ઞાતિને સ્થાન
નાયબ સિંહ સૈનીની કેબિનેટમાં જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો જાળવવામાં આવ્યા છે. આ કેબિનેટમાં 2 દલિત, 2 બ્રાહ્મણ, 2 જાટ, 4 ઓબીસી, એક રાજપૂત અને એક પંજાબીને સમાવાયા છે. 2 મહિલાઓ આરતી સિંહ રાવ અને શ્રુતિ ચૌધરીને મંત્રી બનાવાયા છે.