કેજરીવાલ પર ભાજપે હુમલો કરાવ્યો : મુખ્યમંત્રી આતિશીનો દાવો
આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે કેટલાક અજાણ્યા લોકોએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો છે. પાર્ટીનો આરોપ છે કે કેજરીવાલ પર હુમલો કરવા માટે ગુંડાઓને ભાજપે મોકલ્યા હતા.મુખ્યમંત્રી આતિશીએ કહ્યુ હતું કે, આ હુમલો ભાજપે કરાવ્યો છે.
આપના નેતાઓએ કહ્યું છે કે ભાજપના ગુંડાઓએ દિલ્હીના વિકાસપુરીમાં પદયાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલ પર હુમલો કરાવ્યો હતો. પાર્ટીનો આરોપ છે કે પોલીસે ભાજપના લોકોને અટકાવ્યા નથી.
દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે જ્યારે ED, CBI અને જેલથી પણ વાત ન બની ત્યારે હવે ભાજપના લોકો કેજરીવાલ પર હુમલો કરી રહ્યા છે. જો તેમને કંઈ થશે તો તેની સીધી જવાબદારી ભાજપની રહેશે.
મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ પર થયેલો હુમલો અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે. તે સ્પષ્ટ છે કે ભાજપે તેના ગુંડાઓ દ્વારા આ હુમલો કરાવ્યો છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે.
સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિકાસપુરી વિસ્તારમાં પદયાત્રા કરી રહ્યા હતા. તે દરમિયાન ભાજપના લોકોએ તેમના પર હુમલો કર્યો. આ ખૂબ જ દુઃખદ છે અને ગંભીર બાબત છે.