આમ આદમી પાર્ટીના નેતાઓએ ભય વ્યક્ત કર્યો
ઇડીની આજની કાર્યવાહી પર મંડાઈ બધાની મીટ
દિલ્હી લીકર પોલિસી કેસમાં ઇડી આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ કદાચ ધરપકડ કરી શકે છે તેવી આશંકા આમ આદમી પાર્ટીના નેતાઓએ વ્યક્ત કરી છે. સોમવારે સર્વોચ્ચ અદાલતે એ કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી નકારી કાઢી તેના થોડા કલાકો બાદ જ ઇડીએ અરવિંદ કેજરીવાલને બીજી નવેમ્બરે સવારે 11:00 વાગે કાર્યાલયમાં ઉપસ્થિત રહેવા સમન્સ મોકલ્યું હતું. નોંધનીય છે કે આ જ કેસમાં મનીષ સિસોદિયા ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ ની પણ ધરપકડ થઈ ચૂકી છે. જામીન અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે મનીષ સિસોદિયા સામે પ્રથમ દર્શિય કેસ હોવાના નિર્દેશ આપ્યા બાદ આજે થનારી ઇડીની કાર્યવાહી પર બધાની નજર રહેશે.
અરવિંદ કેજરીવાલને સમન્સ મળ્યા બાદ સોમવારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી આતિશી માર્લેનાએ કેજરીવાલની પણ ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચૂંટણીમાં કેજરીવાલને ન હરાવી શકવાને કારણે ભાજપ હવે ‘ આપ ‘ ના નેતાઓની ધરપકડ કરી અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. તેમણે ઉમેર્યું કે જો બીજી નવેમ્બરે કેજરીવાલની ધરપકડ થશે તો એ ભ્રષ્ટાચારને કારણે નહીં પણ તેઓ ભાજપ વિરુદ્ધ બોલે છે એટલા માટે થઈ હશે.
આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ સૌરભ ભારદ્વાજ અને ગોપાલ રાયે પણ આવી જ આશંકા વ્યક્તિ હતી. ભારદ્વાજે કહ્યું કે ભાજપે આમ આદમી પાર્ટી ને તોડવા માટે 170 કેસ કર્યા છે. અને હવે કદાચ કેજરીવાલ નો વારો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ઇડીએ પ્રથમ વખત અરવિંદ કેજરીવાલને સમજ પાઠવ્યો છે.
એપ્રિલ મહિનામાં પણ આવી જ આશંકા વ્યક્ત થઇ હતી
એપ્રિલ માસમાં સીબીઆઇએ સમન્સ પાઠવી કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. એ સમયે કેજરીવાલે વિડિયો જારી કરી અને જો ભાજપે આદેશ આપ્યો હશે તો પોતાની ધરપકડ થશે તેવો ભય દર્શાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સીબીઆઇ ખૂબ શક્તિશાળી છે,ગમે તેને જેલમાં નાખી શકે છે અને જો ભાજપે આદેશ કર્યો હશે તો સીબીઆઇ ચોક્કસપણે તેનું પાલન કરશે. કેજરીવાલ જ્યારે સીબીઆઇની કચેરીએ ગયા ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવાન તેમની સાથે રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરોએ દિલ્હીમાં દેખાવ કર્યા હતા. જોકે સીબીઆઇએ કેજરીવાલને આરોપી તરીકે નહીં પરંતુ સાક્ષી દરજ્જે બોલાવ્યા હતા.
ભાજપ હવે આ નેતાઓને પણ જેલમાં નાખશે: આતીશી
અતિશીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા ‘ ના અનેક નેતાઓની ધરપકડ થઈ શકે છે. તેમણે કહ્યું કે સીબીઆઇ અને ઇડી નો ઉપયોગ કરી ભાજપ હવે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન તેમજ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની ધરપકડ કરાવશે. કેરાળના મુખ્યમંત્રી પીનારાયી વિજયન અને તામિલનાડુના મુખ્યમંત્રી એમકેએસ તાલીમ પણ ભાજપના નિશાન ઉપર હોવાનું તેમણે જણાવ્યું હતું.
કેમ જાગે છે ધરપકડની આશંકા?
મનીષ સિસોદિયાની જામીન અરજી રદ થયા બાદ દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારીએ હવે અરવિંદ કેજરીવાલ નો વારો હોવાનું જણાવ્યું હતું. એ પહેલા સંજય સિંહની ધરપકડ થઈ ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે,” મુખિયા હજુ બહાર છે. તેનો પણ નંબર આવશે. તપાસ ચાલુ છે” દિલ્હી ભાજપના પ્રમુખ વિરેન સચદવે પણ સંજય સિંહ પછી અરવિંદ કેજરીવાલ પણ જેલમાં જશે તેવી અગમવાણી ઉચ્ચારી હતી. ગૌરવ ભાટિયા અને સંબીત પાત્રા જેવા ભાજપના પ્રવક્તાઓએ પણ એ જ હેતુના નિર્દેશ આપ્યા હતા.
આટલા ધારાસભ્યોની ધરપકડ થઈ છે
બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા તેમજ ઝારખંડના મુખ્યમંત્રી મધુ કોડાની તેમના કાર્યકાળ દરમિયાન જ ધરપકડ થઈ હતી. એ ઉપરાંત હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય ચોટાલા, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદુયેરપ્પા, તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિ તથા તાજેતરમાં આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ધરપકડ થઈ હતી. આંધ્રના વર્તમાન મુખ્યમંત્રી જગન રેડી ની પણ તેઓ મુખ્યમંત્રી બન્યા તે પહેલા 27 મે 2012 ના રોજ ધરપકડ થઈ હતી અને દોઢ વર્ષ સુધી તેઓ જેલમાં રહ્યા હતા.