આનંદો : ચોમાસુ આંદામાનમાં બેસી ગયુ
હવામાન ખાતાની જાહેરાત : આંદામાન-નિકોબાર ટાપુઓ ઉપર ભારે વરસાદ : બંગાળની ખાડીમાં મક્કમ ગતિએ ચોમાસાની આગેકુચ :કેરળમાં ૧૨ દિવસ પછી કરશે પ્રવેશ : ગુજરાતને હજુ ૨૭ દિવસ રાહ જોવી પડશે
કાળઝાળ ગરમી વચ્ચે વાંચવા ગમે એવા સમાચાર આવ્યા છે. હવામાન ખાતાએ એવી જાહેરાત કરી છે કે દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ બંગાળની ખાડીમાં આગળ વધીને આંદામાન-નિકોબાર ટાપુઓ ઉપર પહોંચી ગયું છે. અત્યારે આંદામાન અને નિકોબારના ટાપુઓ ઉપર જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન ખાતાએ ૨૨ તારીખ સુધી વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે કહ્યું ચોમાસાએ માલદીવ અને કોમોરિન વિસ્તારોમાં પણ સમયસર આગેકૂચ કરી છે. વર્ષ 2023 માં પણ દક્ષિણ આંદામાન સમુદ્ર પર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત 19 મેના રોજ થઈ હતી. આ વખતે ચોમાસુ ધારણા કરતા વહેલું છે તેવી જાહેરાત તો પહેલા જ થઇ ગઈ હતી. આ ચોમાસું કેરળમાં ૩૧મી મેએ પ્રવેશ કરશે અને ગુજરાત આવતા આવતા હજુ ૨૭ દિવસ લાગશે.
હવામાન ખાતાએ જણાવ્યું છે કે, “છેલ્લા 24 કલાક દરમિયાન નિકોબાર ટાપુઓ પર વ્યાપક વરસાદ થયો છે. ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા, દક્ષિણ પશ્ચિમ ચોમાસું માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો, બંગાળની ખાડીના કેટલાક ભાગો, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં આગળ વધ્યું છે.”
IMD એ આગાહી કરી છે કે ચોમાસું 31 મેના રોજ કેરળમાં પ્રવેશ કરશે. વરસાદની આગાહી અનુસાર, આ વર્ષે ભારતમાં મોસમી વરસાદ લોગ પીરિયડ એવરેજના 106 ટકા રહેવાની ધારણા છે.