સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન મણીપુરના જૂથો દ્વારા દેખાવો થવાનો ભય ગુપ્તચર એજન્સીઓએ આપી માહિતી
દેશમાં સ્વતંત્રતા દિવસ સમારોહના ભાગરૂપે તિરંગા અભિયાન શરૂ થઈ ગયું છે અને દેશ આખો રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓએ લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન મણીપુરના કુકી અથવા મૈતેઇ જૂથો દ્વારા વિરોધ પ્રદર્શન અને દેખાવો થઈ શકે છે એવી ચેતવણી આપી છે. આ માટે સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. જો આવી કોઈ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ થશે તો કડક હાથે કામ લેવામાં આવશે.
આ સાથે એજન્સીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને સંબોધન અને ત્રિરંગો ફરકાવતા સમયે કેટલાક સરકાર વિરોધી તત્વો ઝંડા અને બેનર બતાવવાની અને સૂત્રોચ્ચાર કરવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
મળેલી માહિતી મુજબ સ્વતંત્રતા દિવસ પહેલા સુરક્ષાની તૈયારીઓ શેર કરવા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એસપીજી CISF, દિલ્હી પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સાથે ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા તાજેતરમાં દિલ્હીમાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંભવિત જોખમો અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, “બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે આ વર્ષનો સ્વતંત્રતા દિવસ દિલ્હીમાં સપ્ટેમ્બરમાં યોજાનારી G20 સમિટના એક મહિના કરતાં ઓછો સમય બાકી છે ત્યારે આવી રહ્યો છે, તેથી ઇવેન્ટ પહેલાં અથવા દરમિયાન કોઈ પ્રતિકૂળ ઘટનાથી દેશની છબી પર નકારાત્મક અસર પડશે.”