અજીત ડોભાલ 3જી વાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા
વડાપ્રધાનના મુખ્ય સચિવ તરીકે પી. કે. મિશ્રા પણ યથાવત રહ્યા
મોદી સરકાર 3.0માં ત્રીજી વખત અજીત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે યથાવત રહ્યા છે. આ સાથે વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા પણ આ પદ પર યથાવત રહેશે. આ રીતે તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે પૂર્ણ થશે. આ સંદર્ભમાં જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે આઇપીએસ (નિવૃત્ત) અજીત ડોભાલની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જે 10 જૂનથી લાગુ થશે.
ડોભાલની નિમણૂક અંગે જાહેર કરાયેલા આ પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તેમની નિમણૂક વડાપ્રધાનના કાર્યકાળ સાથે અથવા આગળના આદેશો સુધી,ચાલુ રહેશે. તેમના કાર્યકાળ દરમિયાન તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવશે. તેમની નિમણૂકના નિયમો અને શરતો અલગથી સૂચિત કરવામાં આવશે.
કોણ છે અજીત ડોભાલ
અજીત ડોભાલનો ઈતિહાસ ઘણો રસપ્રદ રહ્યો છે. પોલીસ અધિકારી તરીકે તેમણે અનેક ઓપરેશન કર્યા છે. તેમણે કોંગ્રેસ સાથે પણ એટલું જ કામ કર્યું છે જેટલું તેમણે ભાજપની સરકારો સાથે કર્યું હતું. તેમણે મહત્તમ હોશિયારી સાથે કામગીરી હાથ ધરી છે. સૌથી પહેલા મિઝો એકોર્ડનું નામ સામે આવે છે. જેમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે સિક્કિમને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો ત્યારે પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. 1984ના રમખાણો વખતે તેઓ પાકિસ્તાનમાં હતા. તેઓ ત્યાં જાસૂસ તરીકે કામ કરતા હતા. તેઓ આતંકવાદ વિરોધી મામલા અને પરમાણુ મુદાઓના નિષ્ણાત મનાય છે.