સૂર્ય કિરણોથી રામલલ્લાને અદભૂત અને અલૌકિક તિલક
કપાળ ઉપર ચાર મિનીટ સુધી રહ્યા સૂર્યના કિરણો
રામ નવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાના ભાલ પર સૂર્ય તિલક થયું હતું. રામ નવમીના અવસર પર, રામલલાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા હતા. બરાબર બપોરે ૧૨ વાગ્યે સૂર્યતિલક થયું અને સૂર્યના કિરણો સીધા શ્રી રામલલ્લાના કપાળ પર પડ્યા હતા અને આ દ્રશ્ય અદભૂત અને અલૌકિક લાગતું હતું. ભાવિકોના ધસારાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
રામમંદિરમાં સૂર્યના કિરણો સાથે રામલલાનું તિલક કરવામાં આવ્યું હતું ત્યારે ભાવિકોએ જય જય શ્રી રામનો જયઘોષ કર્યો હતો. ચાર લેન્સ અને ચાર અરીસાની મદદથી સૂર્યના કિરણો રામલલાના કપાળ સુધી પહોંચ્યા હતા. આ સૂર્ય કિરણો ચાર મિનીટ સુધી રામલલ્લાના ભાલ ઉપર રહ્યા હતા. વૈદિક મંત્રોના જાપથી મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.
આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરમાં આનંદ છવાયો હતો. રામ મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો રામ મંદિર પહોંચ્યા અને તેના સાક્ષી બન્યા. રામ મંદિરે આવતા ભક્તો પર ડ્રોનનો ઉપયોગ કરીને સરયૂ પાણીનો વરસાદ કરવામાં આવ્યો હતો. તમિલનાડુની મુલાકાતે ગયેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભામાં પણ રામલલ્લાના ભાલ ઉપર સૂર્ય કિરણોનું તિલક થયું હોવાની જાહેરાત કરી હતી.
મોડી સાંજે અયોધ્યાના સરયુના ઘાટ પર પણ દીપોત્સવ ઉજવાયો હતો જ્યાં 1.5 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.