પાકિસ્તાને હવે નવા ખેલ શરૂ કર્યા
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી અને પઠાણકોટ એરબેઝ પર થયેલા હુમલાના માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફની પાકિસ્તાનમાં થયેલી હત્યા બાદ સરકાર અને આઈએસઆઈ દ્વારા હવે નવા ખેલ શરૂ થયા છે.
પાકિસ્તાને કોઈ દેશનુ નામ લીધા વગર કહ્યુ છે કે, એક દેશની જાસૂસી એજન્સીનો આ હત્યામાં હાથ છે. અમારી પાસે તેના પૂરાવા પણ છે અને બહુ જલ્દી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ હત્યાના મામલામાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
આતંકી શાહિદ લતીફ જૈશ એ મહોમ્મદ સંગઠન સાથે જોડાયેલો છે. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓની લિસ્ટમાં તેનુ નામ હતુ. 11 ઓક્ટોબરે સિયાલકોટની એક મસ્જિદમાં અજાણ્યા હુમલાખોરોએ તેની હત્યા કરી નાંખી હતી.
દરમિયાન પાકિસ્તાનના સિંધ પ્રાંતની પોલીસનુ કહેવુ છે કે, એક એવો દેશ છે જેની જાસૂસી સંસ્થા આ હત્યાકાંડમાં સામેલ છે. પાકિસ્તાનમાં આ સંસ્થા આતંકવાદી હુમલાઓને અંજામ આપી રહી છે. આ હત્યામાં સામેલ ત્રણ હુમલાખોરોની ઓળખ કરાઈ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. બીજા પણ કેટલાક શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસના કહેવા પ્રમાણે હુમલાની યોજના પાકિસ્તાન બહાર બનાવવામાં આવી હતી. અન્ય દેશની જાસૂસી એજન્સીએ એક વ્યક્તિને પાકિસ્તાન મોકલ્યો હતો અને અમારી પાસે આ વ્યક્તિ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, કોને મળ્યો હતો તેની તમામ વિગતો છે.