મલેશિયાથી રાજકોટ પરત ફરેલા બે લોકો સહિત 10ને કોરોના : બે દર્દી ઑક્સિજન પર
રાજકોટમાં કોરોનાની રફ્તાર ઘટવાનું નામ જ ન લઈ રહી હોય તેવી રીતે દરરોજ નવ-દસ કેસ મળી રહ્યા છે. દરમિયાન શહેરમાં વધુ દસ કેસ મળી આવતાં 23 દિવસમાં કુલ 124 કેસ નોંધાઈ ગયા છે.
નવા જે દસ કેસ મળ્યા છે તેમાં વોર્ડ નં.8ના જાનકી પાર્ક-1માં રહેતા અને મલેશિયાથી પરત રાજકોટ ફરેલા 68 વર્ષીય વૃદ્ધા અને 34 વર્ષીય સ્ત્રી, વોર્ડ નં.8ના અમીન માર્ગ પર રહેતા 63 વર્ષીય વૃદ્ધા, વોર્ડ નં.11માં આવેલી શિવ ટાઉનશિપમાં રહેતાં 58 વર્ષીય આધેડ, વોર્ડ નં.10ના એવરેસ્ટ પાર્કમાં 52 વર્ષીય પ્રૌઢા, વોર્ડ નં.7ની ધર્મજીવન સોસાયટીમાં રહેતાં 80 વર્ષીય વૃદ્ધ, વોર્ડ નં.11ના શ્યામાનંદ પાર્કમાં રહેતાં 44 વર્ષીય સ્ત્રી, વોર્ડ નં.10ના જલારામ પ્લોટમાં રહેતાં 45 વર્ષીય પુરુષ, વોર્ડ નં.9ના કોપર સ્ટોન સોસાયટીમાં રહેતાં 43 વર્ષીય સ્ત્રી તેમજ વોર્ડ નં.8ના ગીતાનગરમાં રહેતાં 55 વર્ષીય પ્રૌઢા સામેલ છે. આ પૈકી 80 વર્ષના વૃદ્ધ અને વોર્ડ નં.1ની કોપર સ્ટોન સોસાયટીમાં રહેતાં 43 વર્ષીય સ્ત્રીને ઑક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 124 કેસ નોંધાયા છે તેમાંથી 68 દર્દી સાજા થઈ ગયા છે તો 56 હાલ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

કોરોના સામે સાવધાની, બીમાર લોકો ભીડમાં જવાનું ટાળે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધીરે ધીરે કોરોનાના નવા વેરિયન્ટના કેસ વધી રહ્યા છે અને દર્દીઓના મૃત્યુ પણ થઇ રહ્યા છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના લોકોને સાવધાની રાખવા અનુરોધ કર્યો છે. તેમણે બીમાર લોકોને ભીડથી દુર રહેવાની સલાહ પણ આપી છે સાથોસાથ વૃદ્ધ અને બીમાર લોકોને આગામી જગન્નાથજીની રથયાત્રા જોવા જવાનું ટાળીને ઘરમાં બેઠા બેઠા જ દર્શન કરવા પણ અનુરોધ કર્યો છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લહેર કે સુનામી કહી શકાય નહી. કોરોના વાઈરસ વિશ્વમાં ફેલાયા બાદ આ ચોથી વખત છે કે, કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી અમે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છીએ.

કોરોનાનો વર્તમાન વેરિયન્ટ ઘાતક નથી. ગત સમયમાં કોરોનાના કેસમાં ઉત્તરોતર વધારો થયો હતો અને ત્યારબાદ તેમાં ઘટાડો થયો હતો. છેલ્લા 25 દિવસથી કેસ વધ્યા છે. પરંતુ જીવનું જોખમ નથી. લક્ષણ દેખાય તો તરત જ સારવાર ચાલુ કરવી જોઈએ તેવુ સૂચન પણ આરોગ્યમંત્રીએ કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોવિડ ફેમિલીનો વેરિયન્ટ છે પણ ઘાતક નથી, કોઈને શરદી ખાંસી, ગળામાં દુખાવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે તો પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી સારવાર કરાવવી જોઇએ અને સાવચેત રહેવું જરૂરી છે.
આ પણ વાંચો : રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી : 16 જૂને વરસાદનું આગમન, રાજકોટ માટે યલો એલર્ટ
ઋષિકેશ પટેલે સતત વધતા કેસ અને રથયાત્રા મામલે વધુમાં લોકોને અપીલ કરતાં કહ્યું કે, જેને શરદી ખાંસીના લક્ષણો હોય, કોમોર્બિડ દર્દી, ઉંમર લાયક લોકોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઇએ. ઘરે બેસીને જ ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ. બીમાર લોકોએ ભીડમાં જવું જોઈએ નહીં.