- ક્યાંથી શરૂ થશે યાત્રા ?
- કેટલા દિવસ ચાલશે ?
લોકસભાની ચુંટણીની તૈયારી કોંગ્રેસે હવે ઝડપી બનાવી છે. રાહુલ યાત્રાઓની વ્યૂહરચના મુજબ પાર્ટીને મજબૂત કરવાનો સંકલ્પ ધરાવે છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારત ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રાનો રૂટ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી જશે. કોંગ્રેસ આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપશે. આ પહેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે જેમાં તેણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો પ્રવાસ કર્યો હતો. કોંગીના મહાસચિવ વેણુગોપાલે આ મુજબની માહિતી મીડિયાને આપી હતી.
રાહુલ ગાંધીએ ભારતના દક્ષિણ છેડે કન્યાકુમારીથી પગપાળા ચાલીને જમ્મુ-કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રા 150 દિવસ ચાલી હતી અને 3,570 કિલોમીટરનું અંતર કાપ્યુ હતું ત્યારે હવે આ યાત્રાની સફળતા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા કાઢશે. જે મણિપુરથી મુંબઈ સુધી 14 રાજ્યોમાંથી પસાર થઈને 6200 કિલોમીટરનું અંતર કાપશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ યાત્રા 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી યોજાશે.
‘ભારત ન્યાય યાત્રા’ 14 રાજ્યો અને 85 જિલ્લામાંથી પસાર થશે જેમાં આસામ, નાગાલેન્ડ, મેઘાલય, બિહાર, ઝારખંડ, બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર થઈને મુંબઈ પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રા બસ દ્વારા થશે અને કેટલીક જગ્યાએ તે પગપાળા પણ હશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ‘ભારત ન્યાય યાત્રા’ને લીલી ઝંડી આપશે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે મણિપુરથી આ યાત્રા શરૂ કરવાનો હેતુ એ છે કે મણિપુર દેશનો મહત્વપૂર્ણ ભાગ છે. અમે ત્યાંના લોકોના ઘા રુઝાવવાનું કામ કરીશું. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય યાત્રા નથી. આ સામાન્ય લોકો માટે છે જેઓ પીડિત છે.