દિલ્હી અને રાજસ્થાનમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, 2થી વધુના મોત
-ભારે પવન ફૂંકાયા બાદ અનેક ફ્લાઈટ ડાયવર્ટ કરવી પડી
-દિલ્હી , ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખડ, તમિલનાડુ, મેઘાલય તેમજ કેરલમાં વરસાદી માહોલ
દિલ્હી અને રાજસ્થાનના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાવાઝોડા સાથે વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત પહોંચી હતી. જો કે, વ્રુક્ષો પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા છે. ભારે પવનને લીધે કેટલાક સ્થળોએ નુકસાન થયાના અહેવાલો પણ છે.
દિલ્હી એનસીઆરમાં આકરી ગરમી વચ્ચે રાત્રે ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ થયો હતો. આ વંટોળને લીધે વૃક્ષો પડવાથી બે લોકોના મોત થયા હતા. વાવાઝોડાને કારણે વિવિધ અકસ્માતોમાં કુલ 23 લોકો ઘાયલ થયા છે. પવનની ઝડપ 50 થી 70 કિમી પ્રતિ કલાકની વચ્ચે નોંધાઈ હતી.
દિલ્હી એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે 9 ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. રસ્તાઓ પર વૃક્ષો પડવાને કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
તોફાન અને વરસાદ બાદ દિલ્હી NCRમાં વધતા તાપમાનથી લોકોને રાહત મળી છે. શનિવારે સવારથી વાતાવરણમાં આહ્લાદક બની જવા પામ્યું હતું. કેટલાક સ્થળોએ હળવા ઝરમર ઝરમર વરસાદ આખો દિવસ ચાલુ રહ્યો હતો.
ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, દિલ્હી , ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખડ, તમિલનાડુ, મેઘાલય તેમજ કેરલમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની અલગ અલગ જગ્યાઓ પર આજે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ ઉત્તરાખંડ તેમજ મધ્યપ્રદેશમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં 12 અને 13 મે નાં રોજ વાવાઝોડા સાથે વરસાદની સંભાવનાં છે.
રાજસ્થાનનાં જયપુરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી. પશ્ચિમી રાજસ્થાન અને પાકિસ્તાન પર હાલ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જે કારણથી 13 મે સુધી વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લાઓમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.