પોશ વિસ્તાર સરિતા વિહારમાં તસ્કરોએ ધામા નાખતાં ફફડાટ
યુગલ નાના બાળકને લઈને સાળંગપુર દર્શન કરવા ગયું’ને પાછળથી તસ્કરોએ ઘર કરી નાખ્યું સાફ: ૪.૩૭ લાખના દાગીના પણ ગયા: તસ્કરોને પકડવા પોલીસની દોડધામ
વોઈસ ઓફ ડે, રાજકોટ
રાજકોટના પોલીસ તંત્રમાં ગમે એટલા ફેરફાર થાય પરંતુ તસ્કરો પીછેહઠ કર્યા વગર એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. હવે તો તસ્કરોના પરોણા પોશ વિસ્તારમાં થવા લાગતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે સાથે સાથે પોલીસના કહેવાતાં' પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. શહેરના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે આવેલી સરિતા વિહાર સોસાયટીમાં સોમવારની રાત્રે તસ્કરોને ધામા નાખી મકાનને નિશાન બનાવતાં ૧૫ લાખની રોકડ તેમજ ૪.૩૭ લાખના દાગીના મળી ૧૯.૩૭ લાખની મત્તા ઉસેડી લેતાં પોલીસમાં દોડધામ થઈ પડી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો પ્રમાણે છેલ્લા ત્રણ મહિનાથી સરિતા વિહાર સોસાયટીમાં
મા આશાપુરા’ નામના મકાનમાં ભાડે રહેતા અને ગોંડલ ચોકડી પાસે લોખંડ ટે્રડિંગનો વ્યવસાય કરતા જયરાજસિંહ હરપાલસિંહ ઝાલા, પત્ની ગોપીબા પોતાના બાળકને લઈને સાળંગપુર ખાતે સોમવારે રાત્રે ૧૧:૩૦ વાગ્યે સાળંગપુર ગયા હતા. દર્શન કર્યા બાદ મંગળવારે સવારે ૯:૩૦ વાગ્યા આસપાસ ઘેર આવ્યા ત્યારે તાળાં તૂટેલા જોતાં ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ પોલીસને જાણ કરતાં યુનિ. પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ જે.એમ.કૈલા, ઝોન-૨ એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.
પોલીસે ઘરની તલાશી લેતાં મકાનના નીચેના બેડરૂમના કબાટમાં જયરાજસિંહ ઝાલાએ ૧૫ લાખની રોકડ રાખી હતી. આ પૈસા વ્યવસાયના હોવાનું તેમણે જણાવ્યું હતું સાથે સાથે એમ પણ ઉમેર્યું હતું કે આ પૈસાથી તેઓ ટૂંક સમયમાં જ નવું મકાન ખરીદવાના હતા. ૧૫ લાખની રોકડ ઉપરાંત ૪.૩૭ લાખના દાગીનાની ચોરી થયાનું પણ તેમણે ફરિયાદમાં જણાવ્યું છે.
પોલીસના અનુમાન પ્રમાણે ઝાલા પરિવાર ૧૧:૩૦ વાગ્યે રાજકોટથી સાળંગપુર રવાના થયા બાદ રાત્રે ૨ વાગ્યા આસપાસ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોઈ શકે છે.
પાડોશીના બે બાઈકની પણ ચોરી
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે તસ્કરોએ જયરાજસિંહ ઝાલાના મકાનમાં રોકડ-ઘરેણાની ચોરી કર્યા બાદ તેમના ઘરથી થોડે જ દૂર પડેલા જય-કમલેશ નામના વ્યક્તિની બે બાઈકની ચોરી પણ કરી હતી. તસ્કરોએ મકાનમાં ચોરી કર્યા બાદ ઝડપથી નાસી જવા માટે આ બે બાઈક ઉઠાવ્યા હોવાની આશંકા છે. પોલીસે સીસીટીવીના આધારે અત્યારે તસ્કરોનું પગેરું દબાવવાનું શરૂ કર્યું છે અને ટૂંક સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલાઈ જવાની શક્યતા સેવાઈ રહી છે.