શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં ૧૨ વર્ષ જૂની અદાવતનો ખાર રાખીને પાડોશમાં જ રહેતો પિતા-પુત્રોએ છરી ઝીંકી દઈ માર મારતા ગુનો નોંધાયો છે..
બનવાની વિગતો મુજબ, લક્ષ્મીનગર શેરી નં ૨ રહેતા ફરિયાદી તોસિક જાહિદભાઈ ઓડિયા ( ઉં.વ.૩૨ ) એ પાડોશીમાં રહેતા કૌટુંબિક સગા આરોપી ઈકબાલ ઠાસરિયા અને તેના બે પુત્ર સમીર અને વસીમ સામે માલવિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બુધવારે રાત્રિના પોતે ભત્રીજા અમન સાથે ઘરના મુખ્ય દરવાજા પાસે વાતો કરતો હોય તે દરમિયાન બાજુમાં રહેતો સમીર આવીને યુવકને ગાળોભાંડી છરી હાથના ભાગે મારી દીધી હતી.
ત્યારબાદ બીજા બંને આરોપીઓએ પણ યુવકને ઢીકાપાટુંનો માર મારી અહીંથી નાશી ગયા હતા. તોસીકને હાથમાં ગંભીર ઇજા પહોંચતા તેને તત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં માલવિયા પોલીસે યુવકનુ નિવેદન નોંધતા બનાવનું કારણ ૧૨ વર્ષ અગાઉ શેરીમાં ચાલવા બાબતે બંને પરિવાર વચ્ચે થયેલી માથાકૂટ હોવાનું જાણવા મળ્યું હતું.